જિલ્લાની તમામ એસ.ટી. બસો ઉપરથી સરકારી જાહેરાતો દુર કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતની સાથે સાથે રાજ્યભરમાં આદર્શ આચાર સંહિતાની અમલવારી વહિવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કરી દેવાઈ છે. વલસાડમાં તમામ વિસ્તારોમાં રાજકીય કે સરકારી જાહેર ખબરના બેનર-પડદા દુર કરવામાં આવી રહ્યા છે. શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર સરકારી વિકાસ કામોની જાહેરાતના હોલ્ડીંગ કે કોઈ પક્ષના પ્રચાર કેકાર્યક્રમોના હોલ્ડીંગ, બેનર, પડદા હટાવાઈ રહ્યા છે તે અંતર્ગત આજ સુધીમાં એસ.ટી. બસો ઉપર લગાડવામાં આવેલ સરકારી યોજનાની જાહેરાતો દુર કરવામાં આવી છે.
વલસાડ ડિવિઝનના તમામ ડેપોની બસો ઉપર આજ સાંજ સુધી સરકારી યોજનાની તમામ જાહેર ખબરો દુર કરી દેવામાં આવી છે તે પ્રમાણે પાલિકા વિસ્તારોમાંથી પણ સરકારી યોજનાના બેનર, હોલ્ડીંગ, પડદા તાત્કાલિક અસરથી દુર કરવામાં આવી ચૂક્યા છે. એકાદ દિવસ બાદ વલસાડ જિલ્લામાં ક્યાંય પણ રાજકીય કે સરકારી જાહેરાતો જોવા મળશે નહીં.