સિવિલ સર્વિસ જેવી કે IAS, IFS, IPS માટે સમાજના યુવાનોને તૈયારી કરી આગળ આવવા મહાનુભાવો દ્વારા આહવાન કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15
શ્રી દમણિયા સોની મંડળ વલસાડની સામાન્ય સભા અને ઈનામ વિતરણ સમારોહ તા. 13 નવેમ્બરે રવિવારે વલસાડમાં ગંગાબાની વાડીમાં સૌરભભાઇના પ્રમુખપણા હેઠળ યોજાયો હતો. આ સમારંભના મુખ્ય અતિથિતરીકે વલસાડના અપૂર્વભાઈ પારેખ તથા હેતલબેન પારેખ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સમાજમાં પ્રથમ આવેલા વિદ્યાર્થીઓ, મહાનુભાવો, માજી પ્રમુખોનું સ્વાગત કરાયું હતું. મંડળના મંત્રી હરીશભાઇ દ્વારા વર્ષ 2021-2022 દરમિયાન થયેલી પ્રવૃત્તિઓની માહિતિ આપી હતી. પ્રમુખ સૌરભભાઈ દ્વારા મંડળ દ્વારા થતી વિવિધ સહાયો, મેડીકલ કેમ્પ, આગામી વર્ષ-2023ના પ્રારંભે તા.1 જાન્યુઆરીના રોજ યોજવામાં આવનાર ભજન સ્પર્ધા અંગે જ્ઞાતિજનોને માહિતગાર કર્યા હતા. હવે પછી તમામ પ્રવૃત્તિઓ માટે યુવાનોને આગળ આવવા આહ્વાન કર્યું હતું. ટ્રસ્ટી મહેશભાઈ પારેખ દ્વારા અન્ય મંડળો પૈકી વલસાડ મંડળ ઘણા વર્ષોથી રજીસ્ટર થયેલું હોવાનું જણાવી મંડળ અંગેની વિવિધ માહિતી આપી હતી તથા વાડીના અહેવાલ અને હિસાબ માટે અન્વેષકની જરૂરીયાત બાબતે જ્ઞાતિજનોને માહિતગાર કરી કાર્યરત અન્વેષક દિવ્યેશભાઇની ફરી નિમણૂક આપી હતી. જેને રણજીતભાઇ દ્વારા સૌ વતી ટેકો આપ્યો હતો. દિવ્યેશભાઇ માનદ અન્વેષક તરીકે સેવા આપે છે. મંડળના વર્ષ 2021-2022ના વાર્ષિક હિસાબો મંડળના કોષાધ્યક્ષ શરદભાઇએ રજુ કર્યા હતા તેને સૌ જ્ઞાતિજનો વતી મેહુલભાઇએ ટેકો જાહેર કરી હિસાબોને મંજુરી આપવામાં આવી હતી.
અતિથિ વિશેષ અપૂર્વભાઇ પારેખે વકતવ્યમાંજણાવ્યું કે, સરકારી સેવામાં (નોકરી માટે) સમાજ કેમ વિચારતો નથી. સમાજે ડોકટરો, એન્જિનિયરો આપ્યા છે પરંતુ સિવિલ સર્વિસ જેવીકે IAS, IFS, IPS માટે સમાજના યુવાનો તૈયારી કરી આ ક્ષેત્રમાં પણ આગળ આવવા જણાવ્યું હતું. અતિથિ હેતલબેન પારેખે જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રે વલસાડના જ્ઞાતિજનો હંમેશા અગ્રેસર રહ્યા છે. વલસાડમાં સમાજે ખ્યાતનામ ડોકટરો ઇજનેરો, વકીલો આપ્યા જ છે જે આપણા સમાજ માટે ગૌરવની વાત છે. આવનાર ભવિષ્યમાં આપણો સમાજ ગામ, દેશ અને દુનિયાને પ્રતિભાશાળી અને કુશળ વિભૂતિઓ આપે એ માટે આપણે સૌએ સતત પ્રયત્નશીલ રહેવુ પડશે. આજનો યુગ ટેકનોલોજી યુગ છે. દરેક યુવાનોમાં ફકત એકેડેમિસ્ટ અને પુસ્તકીયા જ્ઞાન કરતા સ્કીલ ડેવલપમેન્ટ તરફ ધ્યાન આપી જે તે વિષયના નિષ્ણાત થવા માટે નોલેજ સાથે સ્કીલને હસ્તગત કરવી એ પ્રવર્તમાન હરીફાઈભર્યા સમયમાં અત્યંત આવશ્યક છે. જે માટે જરૂરી એન્ત્રપ્રિનિયોર જેવા પ્રોગ્રામો રાખવા જણાવ્યું હતું. ભકતિબેન, નીતાબેન, રૂપલ બેન અને મહેશભાઇ દ્વારા ઈનામ વિતરણ, પારિતોષિક વિતરણ તથા સ્કોલરશીપ પાસ થનાર વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. જ્ઞાતિના વિદ્યાર્થી દ્વારા કેટલીક પ્રવૃતિમાં વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર તમામનુ મંડળે સન્માનકર્યું હતું. અંતમાં પ્રત્યુતરમાં કેટલાક સૂચનો મળ્યા હતા. કાર્યક્રમોને અનુરૂપ કેટલાક દાતાશ્રીઓએ દાન આપ્યું હતું. આભારવિધિ જાગળતિબેન દ્વારા કરવામાં આવી હતી.