સાધકોએ માંગણી કરી હતી કે, આશારામ બાપુને જેલમાંથી મુક્ત કરો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: વલસાડમાં આજે ગુરૂવારે શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા હરિનામ સકિર્તન યાત્રા યોજાઈ હતી. આશારામ બાપુના સાધકો દ્વારા યોજાયેલ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.
વર્તમાન સમયમાં ચૂંટણીની રેલીઓ અને યાત્રાઓ યોજાવાના દોર ચાલી રહ્યો છે તે મધ્યે વલસાડ જિલ્લાના આશારામ બાપુના સેવકો સાધકો દ્વારા આજે ગુરૂવારે ભવ્ય હરિનામ સકિર્તન યાત્રા યોજી હતી.શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા આયોજીત આ સકિર્તન યાત્રા વલસાડ હાલર ચાર રસ્તા સહિત શહેરના વિવિધ જાહેર માર્ગો ઉપર ફરીને પાલીહીલ ખાતે પૂર્ણ થઈ હતી. ચૂંટણીના માહોલ વચ્ચે નિકળેલી યાત્રાના સાધકોએ માંગણી કરી હતી કે, અમારા ગુરૂ, ભગવાન શ્રી આશારામ બાપુ નિર્દોષ હોવા છતાં જેલમાં પુરી રખાયા છે. તેઓ સદેહ અમારી સાથે નથી પણ અમારા વચ્ચે વસી રહ્યા છે. પૂ.બાપુને જેલ મુક્ત કરો તેવી રેલીમાં જોડાયેલા ભાઈ-બહેનોએ માંગણી કરી હતી. રેલીમાં સેંકડોની સંખ્યામાં સાધકો જોડાયા હતા. શણગારેલા વાહનો ઉપર આશારામની મોટા કદની તસવીરો સાથે યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.