-
ગણિત વગર આપણા રોજબરોજના જીવનમાં વ્યવહારો શકય નથીઃ મેઘરાજ ભટ્ટ
-
વિદ્યાર્થીઓએ ગણિત ક્વિઝ સહિતની અનેક -વળત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ધરમપુર દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસ 2022- શ્રીનિવાસ રામાનુજનની 135મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડે રાષ્ટ્રીય ગણિત દિવસ 2022નું મહત્વ સમજાવી જણાવ્યું કે, દર વર્ષે ભારત સરકાર દ્વારા 22 ડિસેમ્બરના દિવસને વિશ્વના શ્રેષ્ઠ ગણિતજ્ઞ ભારતના પનોતા પુત્ર શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતીની યાદમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જિલ્લા વિજ્ઞાન અધિકારી અશોક વી જેઠે વિદ્યાર્થીઓને ગણિત દિવસની શુભકામનાઓ આપી હતી.
scholar of Infinity – S. Ramanujan” વિષય પરના વક્તવ્યમાં મેઘરાજ ભટ્ટ, નિવૃત્ત શિક્ષક અને પૂર્વ પ્રમુખ-ગુજરાત ગણિત મંડળ, સલાહકાર-ગણિત્ત મિલન, વલસાડ, સભ્ય- The Associatlon of Mathematics Teachers of India (AMTI) & Association of International Mathematics Education and Research (AMER) અને તંત્રી “ધ મેથેમેટીક્સ ટીચર” એ જણાવ્યું કે, ગણિત વગર આપણા રોજબરોજના જીવનમાં વ્યવહારો શક્ય નથી તેમજ આપણે અંતરિક્ષ વિજ્ઞાન અને અન્ય સંશોધનો કરી ન શકયા હોત. વધુમાં તેમણે રામાનુજનના જીવનના વિવિધ પ્રસંગો વિષે ચર્ચા કરી હતી.
ઇનોવેશન હબના જુ. મેન્ટર્સ રાહુલ શાહ અને ગાયત્રી બિષ્ટે કેટલીક એક્ટિવિટી પણ બાળકોને કરાવી હતી. જેમાં વર્તુળ અને લંબચોરસનું ક્ષેત્રફળ સમાન હોય છે અને પરિધ અને વ્યાસના ગુણોત્તર હંમેશા π (પાઈ) આવે છે. પ્રિઝમ અને પિરામિડ જેવા ભૌમિતિક આકારોના કોયડા(પઝલ), ચોરસના ટુકડાની ફેરગોઠવણી અને વિવિધ ભૌમિતિક આકારોના નિર્માણની પ્રવૃત્તિ બાળકો પાસે કરાવી હતી. તેમજ બ્રહ્મા ટાવર, પાયથાગોરસ પ્રમેય. એક્રોબેટિક સ્ટિક, શંકુનો આડછેદ અને તેમાથી બનતા વિવિધ આકારો, દ્વિપરિમાણીય (2D) માથી ત્રિપરિમાણીય (૩D) આકારોનું નિર્માણ જેવી પ્રવૃત્તિ પણ કરાવી હતી. રામાનુજનના જન્મતારીખના મેજિક સ્ક્વેર પરથી બાળકોને પોતાની જન્મતારીખનું મેજિક સ્ક્વેર બનાવવાની રીત પણ સમજાવી હતી. વિદ્યાર્થીઓએ ગણિત ક્વિઝમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ક્વિઝ અને કોયડામાં વિજેતા બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા. ગણિત દિવસની ઉજવણી કાર્યક્રમમાં કુલ 5 શાળાના 434 બાળકોએ લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે રામાનુજનના જીવન વિષે ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.