એકાદ ટ્રસ્ટીને બાદ કરતા લોકો એ પણ જાણતા નથી કે ટ્રસ્ટીઓ કોણ કોણ છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: વાપી નજીક લવાછા ગામમાં આવેલ પૌરાણિક રામેશ્વર મહાદેવ મંદિરના રાખ રખાવ, સાર સંભાળ રાખવા તેમજ વિકાસ નહી કરવા બદલ લવાછાના ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો. મંદિર પરિસરમાં સેંકડો ગ્રામજનો એકત્ર થઈને હલ્લાબોલ કરી ટ્રસ્ટીઓ સામે મોરચો ખોલી નાખ્યો હતો.
લવાછા રામેશ્વર મંદિર સમગ્ર પંથકમાં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. હોળી ઉપર અહીં મોટો મેળો ભરાય છે. દુર દુરથી દરરોજ શ્રધ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી મંદિરનો પર્યાપ્ત વિકાસ અને રખ રખાવ ટ્રસ્ટીઓ દ્વારા નહી કરવામાંઆવતા રવિવારે મંદિર પરિસરમાં સેંકડો ગ્રામજનો એકઠા થઈને મંદિર મામલે હોબાળો મચાવી દીધો હતો. એકત્ર થયેલા લોકોએ ટ્રસ્ટીઓની રાહ જોઈ પણ એક પણ ટ્રસ્ટી મંદિરે ફરક્યો નહોતો. ગ્રામજનોએ ટ્રસ્ટીને ફોન કર્યો તો ઉડાઉ જવાબ આપેલો જેથી ગ્રામજનો રોષે ભરાયા હતા. લોકોમાં મંદિર માટે જન આક્રોશ એટલે ફેલાયેલો છે કે ટ્રસ્ટીઓ તરફથી બરાબર સાર સંભાળ લેવાતી નથી. ગંદકીમાં પરિસર સબડી રહ્યું છે. અહીં આવેલી ધર્મશાળા અગમ્ય કારણોસર ટ્રસ્ટીએ તોડી નાખી છે તેથી લગ્ન કે મરણ પ્રસંગે અહીં આવતા શ્રધ્ધાળુઓ આવતા બંધ થઈ ગયા છે. લોકોએ ત્યાં સુધી જણાવ્યું હતું કે, મંદિરમાં કોણ કોણ ટ્રસ્ટી છે તે પણ અમે જાણતા નથી. મંદિરની લાખોની આવક હતી પણ દર્શનાર્થીઓ સગવડના અભાવે આવતા બંધ થઈ ગયા છે તેથી ટ્રસ્ટીઓ મંદિરનો વિકાસ નહી પણ રકાસ કરી રહ્યા હોવાનો ગુસ્સો ગ્રામજનોમાં મિટિંગમાં જોવા મળ્યો હતો.