ખોટી અફવા પ્રત્યે લોકો ધ્યાન ન આપે તે માટે લોકોને જાગૃત કરવા જરૂરી પગલા લેવા કલેકટરએ સૂચવ્યું
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સઘન પેટ્રોલિંગ ચાલુ રાખવા કલેકટરે જણાવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: ટ્રક ડ્રાઈવરો દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચિત હડતાળ અન્વયે વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં તા.3 જાન્યુ. 2024 ના રોજ વલસાડ કલેકટર કચેરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લામાં પેટ્રોલ ડિઝલ, ગેસ તથા આવશ્યક ચીજ વસ્તુઓનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તથા લોકોને મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવા માટે કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત રહેલા ઓઈલ કંપનીના પ્રતિનિધિઓ, પેટ્રોલ પંપ સંચાલક એસોસિએશનના પ્રમુખ, ગેસ એજન્સી સંચાલકના એસો.ના પ્રમુખ, ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ અને એપીએમસી એસો.નાપ્રમુખશ્રીઓને જણાવ્યું કે, ખોટી અફવા પ્રત્યે લોકો ધ્યાન ન આપે તે માટે લોકોને જાગૃત કરવા જરૂરી પગલા લેવા સૂચવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સઘન પેટ્રોલિંગ ચાલુ રાખવા કલેકટરે સૂચન કર્યુ હતું. તમામ પેટ્રોલપંપના ડિલરોને પેટ્રોલ ડિઝલના વેચાણ બાબતે કોઈ પણ મુશ્કેલી આવે અથવા તો અસામાજિક તત્વો તરફથી કોઈ પણ દેખાવ કરવાની કોશિશ કરવામાં આવે તો તે અંગે ત્વરિત જાણ કરવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા, વલસાડ જિલ્લા પુરવઠા અધિકારી કાજલ ગામિત, વલસાડના નાયબ પોલીસ અધિક્ષક એ.કે.વર્મા, વલસાડ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી નિકુંજ ગજેરા, વલસાડ ડિસ્ટ્રીક્ટ પેટ્રોલિયમ ડિલર એસો.ના પ્રમુખ અનિલ દેસાઈ, ઉપ પ્રમુખ હિમાંશુ વશી, સેક્રેટરી વિરલ દેસાઈ અને ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ ભરત ડી. ઠક્કર સહિત અન્ય એસો.ના હોદેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.