નવિન પુલ બનાવવા માટે જુનો પુલ તોડી નાખવાનો છે : હજારો વાહન ચાલકોની મુસીબતનો પ્રારંભ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: વાપી રેલવે ફલાય ઓવરબ્રિજ ફોર લાઈન નવો બનાવવાનો હોવાથી બુધવારે મધરાતે 12 વાગે જાહેરનામા મુજબ અવર જવર માટે બંધ કરી દેવાયો હતો. પાલિકા કર્મચારીઓએ વિધિવત પુલની બન્ને સાઈડ આડશો બાંધી જાહેરનામાની નોટીસ મારી પુલ હવેથી આગળનો બે-એક વર્ષ સુધી બંધ રહેશે.
વાપીમાં 142 કરોડના ખર્ચે ફોરલાઈન નવિન પુલ બનાવવાની કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે તે માટે પુલ બંધ પણ કરી દેવાયો છે પરંતુ બહાર ગામના અજાણ્યા વાહન ચાલકો તો બેખબર હોય તેથી પુલ સુધી પહોંચી જશે અને પાછા ફરવાની ફરજ બનશે. તેથી પુલ સુધી પહોંચતા તમામ રોડ ઉપર મોટા સાઈનબોર્ડ-નોટિસ મારવી પડશે. નહીતર ટ્રાફિકની અંધાધુધી ઉભી થશે. હાલ પણ રોજના 30 થી 40 હજાર વાહનોની અવરજવર માટેની સમસ્યાનો પ્રારંભ થઈ ગયો છે. સુચિત કરેલા ડાઈવર્ઝન ઉપર ટ્રાફિક ટર્ન કરાવાઈ રહ્યો છે. કંઈ મેળવવા માટે કંઈક ગુમાવવું પડે તેવું માની વાહન ચાલકો પણ ટેવાઈ જશે.