-
લક્ષદ્વીપની મુલાકાતનું સમાપન કર્યા બાદ સીધા હવાઈ માર્ગે રાજકોટ થઈ રોડ માર્ગથી થર્ટીફર્સ્ટની મોડી રાત્રિએ પ્રશાસકશ્રીનું દીવ ખાતે થયેલું આગમનઃ નવા વર્ષની વહેલી સવારે અધિકારીઓ સાથે વિવિધ પ્રોજેક્ટોની સમીક્ષા બેઠક બાદ વિવિધ વિકાસકામોનું કરાયેલું નિરીક્ષણ
-
ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે યજ્ઞ શાળા બનાવવા અને મંદિરના નવીનિકરણ માટે પણ આપેલા જરૂરી નિર્દેશો
(તસવીર-અહેવાલઃ ફૈઝાન ફારૂક સિદ્દી)
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.01: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પોતાની લક્ષદ્વીપની મુલાકાતનું સમાપન કર્યા બાદ સીધા હવાઈ માર્ગે રાજકોટ થઈ રોડમાર્ગથી થર્ટીફર્સ્ટની મોડી રાત્રિએ દીવ પહોંચ્યા હતા અને આજે સવારે દીવના વિવિધ વિકાસ કામોનું નિરીક્ષણ શરૂ કર્યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જલંધર સરકિટ હાઉસથી શરૂ કરી ગંગેશ્વર મહાદેવ મંદિર, સમર હાઉસ, હેરીટેજ રોપ વે, કેબલ કાર્ટ, પાનબાઈ સ્કૂલ, દીવની જૂની બજાર, દીવ પોલીસ સ્ટેશન વગેરેની મુલાકાત લઈ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.
ચક્રતીર્થ ખાતે રસ્તાને પહોળો કરવા અનેગંગેશ્વર મહાદેવ મંદિરના કેમ્પસના વિકાસ માટે પણ ચર્ચા-વિચારણા કરી હતી. ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે યજ્ઞ શાળા બનાવવા અને મંદિરના નવીનિકરણ માટે પણ જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા હતા.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીવની જૂની બજારનું નિરીક્ષણ કરતા બજારના વચ્ચેના સ્તંભ તથા નીચેના સ્થળે જરૂરી ફેરફાર કરવા માટે પણ સૂચનો કર્યા હતા. દીવ પોલીસ સ્ટેશનથી કિલ્લા સુધી વચ્ચે રહેલ ખાલી જગ્યાને પણ નવીનિકરણના પ્રોજેક્ટમાં આવરી લેવા સૂચન કર્યું હતું. તેમણે પૌરાણિક ઈમારત લક્ષ્મીપાર્કની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં સ્પોર્ટ્સ એક્ટિવીટી માટે વિકાસ કરવા ઈચ્છા જાહેર કરી હતી. તેમણે પોર્ટુગીઝ સ્ટેટમાં બનેલ રસ્તાનું નિરીક્ષણ કરતા થયેલું કામ નહીં ગમતાં તેમણે કોન્ટ્રાક્ટરને જરૂરી ફેરફારો સૂચવ્યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તમામ કામ નિર્ધારિત સમયમર્યાદામાં અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવા સંબંધિત કોન્ટ્રાક્ટર-એજન્સીને તાકિદ કરી હતી અને અધિકારીઓને સતત મોનિટરિંગ કરવા પણ આદેશ આપ્યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગંગેશ્વર મહાદેવ મંદિરના દર્શનનો પણ લીધેલો લ્હાવો
મંદિર કેમ્પસમાં રેકડી ઉપર ચણાંચૂર ગરમનું વેચાણ કરતા ફેરિયાના પણ પ્રશાસકશ્રીએ હાલચાલપૂછી પોતાની સંવેદનશીલતાનો આપેલો પરિચયઃ ફેરિયા દ્વારા ડિજિટલ પેમેન્ટ સ્વીકારાતા વ્યક્ત કરેલી પ્રસન્નતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.01: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સુપ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવ મંદિરના દર્શનનો પણ લાભ લીધો હતો અને બાજુમાં એક રેકડી ઉપર ચણાંચૂર ગરમનું વેચાણ કરતા એક ફેરિયાને પણ તેના હાલચાલ પૂછી પ્રશાસકશ્રીએ પોતાની સંવેદનશીલતાનો પણ પરિચય આપ્યો હતો. ફેરિયા દ્વારા સ્વીકારાતા ડિજિટલ પેમેન્ટથી પણ પ્રશાસકશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
ગંગેશ્વર મહાદેવ મંદિરના કેમ્પસ ખાતે ફૂદમ ગામના આગેવાન અને દીવના પૂર્વ નિવૃત્ત મામલતદાર શ્રી રમણિકભાઈ બામણિયા સાથે પણ ચર્ચા-વિચારણાં કરી હતી.