(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી તાલુકાના વંકાલ ગામના વજીફા ફળિયાના અગ્રણી દીપકભાઈ સોલંકી, ઘેકટીના સરપંચ સુનિલભાઈ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઘેકટી પહાડ ફળિયાના સ્થાનિક રહીશો દ્વારા પ્રાંત અધિકારીને કરેલ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે ઘેકટી અને વંકાલ ગામની સીમમાંથી પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેકટમાં બુલેટ ટ્રેનના પીલરની સાઇડે રસ્તા માટે માટી પુરાણ કરાતા ઘેકટી ગામના પહાડ ફળીયામાં અમારા શ્રમજીવી પરિવારોના વિસ થી વધુ ઘરો છે. તે ઘરોની પ્લીથ કરતા બુલેટ ટ્રેનના રસ્તાની ઊંચાઈ ખૂબ વધી જતાં ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ થવાની શકયતા નથી. ગતચોમાસામાં પણ આ પહાડ ફળિયાના ઘરોમાં પાણી ભરાઈ જતા જેસીબીથી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ હતી. ચાલુ સિઝને બુલેટ ટ્રેનના રસ્તા ઉપર ફરીવાર પુરાણ કરી રસ્તાની ઊંચાઈ વધારવામાં આવી છે. ત્યારે ગત ચોમાસામાં પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શકયતા છે. પહાડ ફળીયામાં મોટાભાગના મકાનો સરકારી આવાસ યોજનાના છે. અને આવાસોનું ફાઉન્ડેશન પણ એટલું મજબૂત ન હોય તેવામાં પાણી ભરાઈ રહેતા જાનહાની થવાની શકયતા પણ નકારી શકાય તેમ નથી. વધુમાં પહાડ ફળીયા વિસ્તારમાંથી ઘેકટી તરફ જતી કેનાલમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં પુરાણ કરી દેવામાં આવેલ છે.
ઉપરોક્ત સ્થિતિમાં અમારા ઘેકટી પહાડ ફળિયાના રહીશોના ચોમાસામાં જીવ જોખમમાં મુકાઈ તેવી દહેશત વચ્ચે વરસાદી પાણીના નિકાલ માટે આરસીસીનું સ્ટ્રક્ચર બનાવી કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ફેબ્રુઆરીમાં રજૂઆત કરાઈ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી
ઘેકટી ગામના પહાડ ફળીયામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે વરસાદના પાણી ભરાવાની સમસ્યાના નિરાકરણ માટે ગ્રામ પંચાયત દ્વારા ફેબ્રુઆરી મહિનામાં મામલતદાર અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરાઈ હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. આજવિસ્તારને અડીને આવેલા વંકાલ ગામના વજીફા ફળીયામાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે ખેડૂતોને થયેલ નુકશાન અંગે ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આજદિન સુધી આવ્યું નથી. લોકોની સમસ્યા અંગે અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ રસ હોય તેમ લાગતું નથી. બુલેટ ટ્રેન પ્રોજેકટમાં અધિકારીઓ રીતસરની મનમાની ચલાવી રહ્યા છે. ત્યારે ઘેકટીના પહાડ ફળિયાના લોકોની સમસ્યા દૂર થશે કે કેમ તે જોવું રહ્યું.