(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.03: ચીખલી નવસારી રાજયધોરી માર્ગ ઉપર ગણદેવી સુગર ફેકટરી ચાર રસ્તા પાસે માર્ગ મકાન વિભાગ દ્વારા સ્પીડ બ્રેકરો મુકાયા પરંતુ ચેતવણી દર્શક બોર્ડ ન મુકાતા વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ ઉભું થવા પામ્યું છે. લોકોની સુવિધા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોય છે. પરંતુ અધિકારીઓની અણ આવડતને પગલે સુવિધાના સ્થાને દુવિધામાં વધારો થતો હોય છે.
તાજેતરમાં માર્ગ મકાન વિભાગ દ્વારા વસુધરા ડેરી અલીપોર હાઈવે થી ગણદેવી થઈ નવસારીને જોડતા રાજ્ય ધોરી માર્ગનું કરોડો રૂપિયાના ખર્ચે વિસ્તૃતિકરણ કરી નવીનકરણ કરાયુંછે.પરંતુ માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓને વાહન ચાલકોની સલામતીની કોઈ પરવા ન હોય તેમ આ રાજ્ય ધોરીમાર્ગ ઉપર ગણદેવીમાં સુગર ફેકટરી સ્થિત જલારામ બાપાના મંદિર અને દેસાડ પાટિયા પાસેના ચાર રસ્તા પર બન્ને તરફ સ્પીડ બ્રેકર (બમ્પ) મુકવામાં આવ્યા છે. પરંતુ આ સ્પીડ બ્રેકર આવતો હોવાથી વાહન ચાલકોને સાવચેત કરવા માટે ચેતવણી દર્શક બોર્ડ લગાવાયા નથી. જેને પગલે ખાસ કરીને અચાનક બ્રેક મારવાની સ્થિતિમાં ટુ હીલર વાહન ચાલકો કફોડી સ્થિતિમાં મુકાઈ જતા હોય છે અને તેઓને સતત અકસ્માતનો ભય સતાવતો હોય છે.
ઉપરોક્ત સ્થિતિમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓને સ્પીડ બ્રેકર મુકતાની સાથે ચેતવણી દર્શક બોર્ડ મુકવાનું કેમ સૂઝ્યું નથી? ત્યારે લોકોની સલામતી માટે લાપરવાહી દાખવતા અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.