-
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત બેંક ઓફ બરોડાની ગ્રામીણ સ્વરોજગાર સંસ્થા, સેલવાસ દ્વારા આપવામાં આવી રહેલી તાલીમ
-
સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલાઓને પોતાના ઘરઆંગણે આત્મનિર્ભર બનાવવા શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની સ્વરોજગારને પ્રોત્સાહન આપવાની નીતિના સંદર્ભમાં આપેલી વિસ્તૃત જાણકારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ આજે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સેલ્ફ હેલ્પ ગ્રુપ માટે વિવિધ ખાદ્ય વસ્તુઓ બનાવવા માટે ત્રિ-દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સેલ્ફ હેલ્પ ગ્રુપની 50 જેટલી બહેનોએ લાભ લીધો હતો.
સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોને પોપકોર્ન, ચેવડો અને મમરા બનાવવા,ખજૂર શેક, ઉંબાડિયું, રાઈસ પાપડ, ફળ સલાડ, વેજીટેબલ કટિંગ, ફ્રુટ જ્યુસ, મેક્સિકોર્ન, સફેદ જાંબુ, બાફેલા ચણા, ફણગાવેલા કઠોળ(સ્પ્રાઉટ્સ) તથા પારંપારિક ખાદ્ય પદાર્થો વગેરે તૈયાર કરવા માટે ત્રિ-દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સંઘપ્રદેશ પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલાઓને પોતાના ઘરઆંગણે આત્મનિર્ભર બનાવવા શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની સ્વરોજગારને પ્રોત્સાહન આપવાની નીતિના સંદર્ભમાં વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અહીં આપવામાં આવનાર તાલીમ પોતાના વિવિધ ઉત્પાદનો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. તેમણે જમ્પોર અને દેવકા બીચ ખાતે સ્ટોલ લગાવી સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો પોતાની આવક ઉભી કરે એ બાબતે પ્રશાસન સક્રિય પ્રયાસરત હોવાની પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખાદ્ય વસ્તુ બનાવતા સમયે અને ગ્રાહકોને પીરસવામાં આવે તે દરમિયાન સાફ-સફાઈ અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તેમણે તમામ તાલીમાર્થી બહેનોને આજીવિકા મિશનનો ભાગ બનવા બદલ અભિનંદન પણ આપ્યા હતા.
કાર્યક્રમની આભાર વિધિઆટોપતા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્યું હતું કે, મોદી સરકારના આગમન બાદ જ અધિકારીઓના વર્ક કલ્ચરમાં પણ પરિવર્તન આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વરિષ્ઠ આઈ.એ.એસ. અધિકારીઓ તમારી સામે પલાંઠીવાળીને બેસી તમારી વાત સાંભળે એવું ભૂતકાળના શાસનમાં જોયું હતું ખરૂં? તેમણે જણાવ્યું હતું કે, આપણે ભાગ્યશાળી છીએ કે આપણી દરકાર લઈ શકે એવા અધિકારીઓ મળ્યા છે. તેમણે 22મી જાન્યુઆરીના રોજ ઐતિહાસિક શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પંચાયત પરિસરમાં યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પણ બહેનોને આમંત્રણ પાઠવ્યું હતું.
આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સંજામ સિંઘ, દમણ જિલ્લાના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર શ્રી રાહુલ ભીમરા, બેંક ઓફ બરોડાની ગ્રામીણ સ્વરોજગાર સંસ્થા સેલવાસના નિર્દેશક શ્રી કૃષ્ણા શર્મા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોને સ્વરોજગાર, ઉત્કૃષ્ટ પ્રેરણા, વેપારની તક, પેકેજિંગ પધ્ધતિ, બજાર સર્વેક્ષણ, પ્રભાવશાળી સંવાદ, માર્કેટિંગ મેનેજમેન્ટ, બેંકિંગ, બુક કેપિંગ, પ્રોજેક્ટ રિપોર્ટની તૈયારી અને ખેલકૂદના મનોરંજન સાથે વસ્તુઓ બનાવતા સમયેસાફ-સફાઈના નિયમના પાલન અંગેનું પ્રશિક્ષણ પ્રદાન કરવામાં આવી રહ્યું છે.