(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08 : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે આયોજિત 39મો વાર્ષિકોત્સવના બીજા દિવસે રાજ્યના નાણા અને ઊર્જા પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિતરહ્યા હતા. તેમણે આ પ્રસંગે વિશ્વમાં ભારતની નોંધપાત્ર પ્રગતિને વર્ણવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગામી વર્ષમાં જી-20નું અધ્યક્ષ પદ ભારતને પ્રાપ્ત થયું હોય ત્યારે તે અંતર્ગત 12 જેટલી ઈવેન્ટ ગુજરાતમાં થનાર હોવાની જાહેરાત કરી હતી. જે સમગ્ર ગુજરાત માટે વિશ્વ ફલક ઉપર ચમકવાની અભૂતપૂર્વ તક હોવાનું જણાવ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ વાપી ખાતે સંસ્થાનો 39મો વાર્ષિકોત્સવના બીજા દિવસે શિવોહમ ઉપર નૃત્યના અને સાંસ્કળતિક કાર્યક્રમનો તથા મહાનુભવો અને તેજસ્વી તારલાઓના સન્માનનો અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 5,000 થી વધુ લોકો ઉપસ્થિત રહી શિવ લીલાના અદભુત રસોત્સવને માણ્યો હતો.
આ પ્રસંગે રાજ્યના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજના યુગમાં શિક્ષણ સાથે સંસ્કારની આવશ્યકતા છે અને તે સ્વામિનારાયણ ગુરુકુળમાં પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ વિદ્યા મેળવી રહ્યા છે એટલું જ નહીં ફાર્મસી અને સીબીએસસીના પરિણામો જોતા અહીં શ્રેષ્ઠ શિક્ષણનો પાયો અત્યંત મજબૂત હોવાનું જણાવ્યું હતું. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામી દ્વારા મંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.સાદા સરળ વ્યક્તિત્વના વખાણ કરી એમના નેતૃત્વમાં રાજ્ય તથા દેશ ખૂબ પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે પૂર્વ આદિજાતિ મંત્રી શ્રી રમણભાઈ પાટકર પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અનેક અગ્ર ગણ્યા નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા શિવ લીલાના અનેક પ્રસંગોનું આબેહૂબ મંચન કરાયું હતું. જેને જોઈને પ્રેક્ષકો ભાવવિભોર બન્યા હતા અને હર હર મહાદેવના નારા લગાવવા સાથે મહાદેવની આરતીમાં પણ જોડાયા હતા.