-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની વહીવટમાં ભ્રષ્ટાચારની નો ટોલરન્સ નીતિનો પડઘો
-
સેલવાસના મામલતદાર ટી.એસ.શર્મા સામે થઈ હતી અનેક ગંભીર ફરિયાદોઃ સરકારી જમીનના ફેબ્રિકેટેડ દસ્તાવેજો બનાવી લેન્ડ ડેવલપરોને પાણીના ભાવે વેચી હોવાની પુરાવા સાથેની રજૂઆતો પણ તંત્રને કરાઈ હતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: દાદરા નગર હવેલીના સેલવાસના મામલતદાર ટી.એસ.શર્મા અને લેન્ડ રિફોર્મ ઓફિસર તથા તત્કાલિન ખાનવેલના મામલતદાર બ્રિજેશ ભંડારીને સેન્ટ્રલ સિવિલ સર્વિસ(ક્લાસિફિકેશન, કન્ટ્રોલ અને અપીલ) રૂલ્સ 1965ના રૂલ 10ના સબ રૂલ(1) અંતર્ગત તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ સંઘપ્રદેશના નાણાં સચિવ અને ડિસિપ્લીનરી ઓથોરિટી શ્રી ગૌરવ સિંહ રાજાવતે કરતા નીતિ-નિયમો વિરૂદ્ધ કામ કરતા અધિકારીઓ-કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસના મામલતદાર ટી.એસ.શર્માની મામલતદાર તરીકેની નિયુક્તિથી લઈ તેમના કામકાજની બાબતમાં અનેક ફરિયાદો ઉઠી હતી. તેમણે સરકારી જમીનોના ફેબ્રીકેટેડ દસ્તાવેજોથી સોનાના ટૂકડા જેવી જમીન પાણીના ભાવે ડેવલપરોને આપીદીધી હતી. જેના સંદર્ભમાં અનેક ફરિયાદો પણ ઉચ્ચ સ્તરે થઈ હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ વહીવટમાં ભ્રષ્ટાચારના મુદ્દે નો ટોલરન્સ નીતિ ધરાવે છે અને હંમેશા પ્રમાણિકતાના આગ્રહી છે.
સંઘપ્રદેશ પ્રશાસનની ડિસિપ્લીનરી ઓથોરીટિએ સંપૂર્ણ ચિંતન કર્યા બાદ સેલવાસના મામલતદાર ટી.એસ.શર્મા અને લેન્ડ રિફોર્મ ઓફિસર તથા તત્કાલિન ખાનવેલના મામલતદાર બ્રિજેશ ભંડારી કસૂરવાર દેખાતા આજે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ ડિસિપ્લીનરી ઓથોરીટિ શ્રી ગૌરવ સિંહ રાજાવતે જારી કર્યો હતો.