બેઠકમાં 23 સભ્ય-નેશનલ લો યુનિવર્સિટી(એનએલયુ)ના કુલપતિઓએ લીધેલો ભાગઃ કાનૂની શિક્ષણના ખુબ મોટા પ્રમાણમાં ફેલાવા માટે કરાયેલી ગહન ચર્ચા-વિચારણાં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.31 : આજે દીવ ખાતે 23 નેશનલ લો યુનિવર્સિટીના સહાયક સંઘ(કન્સોર્ટિયમ)ની જનરલ બોડીમીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 23 સભ્ય-નેશનલ લો યુનિવર્સિટી(એનએલયુ)ના કુલપતિઓએ ભાગ લીધો હતો. સવારે 9 વાગ્યે વાઈસ ચાન્સલરોની સાથે યોજાયેલી મીટિંગમાં કાનૂની શિક્ષણને કેવી રીતે પ્રખ્યાત કરવામાં આવે, વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેમાં પ્રવેશ મેળવી શકે અને પોતાનું યોગદાન આપી શકે આ વિષય પર ગહન ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સવારે 10:30 વાગ્યે જનરલ મોડી મીટિંગ યોજાઈ હતી. જેમાં એકેડેમી કેલેન્ડર ડિઝાઈ તૈયાર કરવું, નેશનલ લો યુનિવર્સિટીના સહાયક સંઘ(કન્સોર્ટિયમ) તથા અન્ય પ્રવૃત્તિ અને એનએલસી કો-ઓર્ડિનેશન કરીને તથા કાનૂની માટે કોમન પ્લેટફોર્મ બનાવવા બાબતે ઊંડી ચર્ચા-વિમર્શ કરાયો હતો.
મળેલી મીટિંગમાં નેશનલ લો યુનિવર્સિટીના સહાયક સંઘ(કન્સોર્ટિયમ)માટે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી પણ કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ તરીકે મહારાષ્ટ્ર રાષ્ટ્રીય વિધિ વિશ્વવિદ્યાલય, નાગપુરના કુલપતિ પ્રો. (ડો.)વિજેન્દ્ર કુમારની નિયુક્તિ કરવામાં આવી હતી. જ્યારે ઉપાધ્યક્ષ તરીકે હિદાયતુલ્લાહ રાષ્ટ્રીય વિધિ વિશ્વ વિદ્યાલય રાયપુરના કુલપતિ પ્રો. (ડો.) વી. સી. વિવેકાનંદનની વરણી કરવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રીપ્રફુલભાઈ પટેલના પ્રયાસથી પ્રદેશમાં લો કોલેજની સ્થાપના કરવામાં આવી છે અને પ્રદેશના વિદ્યાર્થીઓને સેલવાસ ખાતેની લો કોલેજમાં પ્રવેશ મળી શકશે અને સંઘપ્રદેશમાં સારા વકીલ બની શકશે. દીવમાં નેશનલ લો યુનિવર્સિટીની યોજાયેલ મીટિંગ માટે પ્રશાસન તરફથી તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી. જે બદલ કુલપતિઓ અને ઉપસ્થિત તમામે પ્રશાસકશ્રીનો દિલથી આભાર માન્યો હતો.