પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળા અંગે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: વલસાડ જિલ્લા સંચારી રોગચાળા અટકાયત માટે જિલ્લા સંચારી રોગચાળા અટકાયતની ત્રિમાસિક બેઠક જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને તા.4 ફેબ્રુઆરીના રોજ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં પાણીજન્ય રોગચાળો અને વાહકજન્ય રોગચાળા અંગે ચર્ચા તેમજ થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં છેલ્લા 3 માસ નવેમ્બર 2022 થી જાન્યુઆરી 2023 સુધીમાં જિલ્લામાં ડાયેરીયા (ઝાડા)ના 1890, મરડાના 304, તાવના 2386 અને ટાઈફોઈડના 45 કેસ નોંધાયાની ચર્ચા થઈ હતી. આ સિવાય લેપ્ટોસ્પાયરોસિસના વર્ષ 2013માં 59 કેસ અને 6 મરણ હતા જેની સામે વર્ષ 2022માં માત્ર 2 કેસ અને 0 મરણ હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા લેપ્ટોને અટકાવવા માટે કરાયેલી કામગીરીની નોંધ લેવાઈ હતી. આ સિવાય રક્તપિતના કેસમાં ધરખમ ઘટાડો થઈ છેલ્લા 5 વર્ષમાં 996થી ઘટીને 186 થતા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જિલ્લા રક્તપિત કચેરીની કામગીરીની નોંધ લઈ અભિનંદન પાઠવ્યા હતા. સિઝનલ ફલુનાકેસમાં પણ ઘટાડો નોંધાયો છે. વર્ષ 2017માં 31 કેસ હતા જેની સામે 2022માં માત્ર 12 કેસ સામે આવ્યા હતા. ચાલુ વર્ષ 2023માં કોરોનાના માત્ર 2 કેસ હોવાની ચર્ચા થઈ હતી. એક સમયે વર્ષ 2013માં મલેરિયાના 4547 કેસ જિલ્લામાં નોંધાયા હતા જેની સામે વર્ષ 2022માં માત્ર 8 જ કેસ જોવા મળ્યા હતા. ડેંગ્યુના કેસ વર્ષ 2013માં 98 નોંધાયા હતા જે વર્ષ 2022માં 22 થયા છે. જિલ્લામાં 459 ગામમાં પાણીનાસ્ત્રોતનું કલોરિનેશન કરવામાં આવ્યું હોવાની માહિતી જિલ્લા આરોગ્ય ખાતાના રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. મનોજ પટેલે આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, પ્રોબેશનરી આઈએએસ નિશા ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કિરણ પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામીત, આરસીએચઓ ડો.એ.કે.સિંઘ, કવોલિટી એન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. દિવ્યેશ પટેલ, તાલીમ ટીમના સિનિયર મેડિકલ ઓફિસર ડો. એસ.એસ.હક, જિલ્લા રક્તપિત્ત કચેરીના મેડિકલ ઓફિસર ડો. સંજ્ય કુમાર અને ક્ષયરોગ વિભાગના મેડિકલ ઓફિસર ડો. પરિમલ પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.