(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: કાપડી સમાજ ટ્રસ્ટ વલસાડ દ્વારા સમાજનો 32મો સ્નેહ મિલન કાર્યક્રમ કોપરલી નજીકના કવાલ ગામે યોજાયો હતો. આ કાર્યક્રમની સાથે સાથે કાપડી સમાજની કુળદેવી હિંગળાજ માતાના નિર્માણ પામનાર મંદિરનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. આવનાર સમયમાં કવાલ ખાતે શુભ પ્રસંગે સમાજને ઉપયોગી આવે એ માટે વાડી બનાવવાનું આયોજન પણ છે.
આ પ્રસંગે શ્રી કાપડી સમાજ સાર્વજનિક ટ્રસ્ટના અગ્રણીઓએ મંદિર અને સમાજની વાડી માટે ભૂમિ દાન આપનાર દાતાશ્રી જવાહરભાઈ શાહ, શ્રી ભૂપેદ્રભાઈ શાહ, શ્રી ભાવિનભાઈ શાહ, કવાલ ગામના સરપંચ શ્રી મનોજભાઈ પટેલ, શ્રી પારસભાઈ દ્વિવેદીએ એકવીસ હજાર ઈંટનું દાન, શ્રી જયેશભાઈ ઠાકોર તરફથી મંદિર માટે કપચીનું દાન, શ્રી રુચિરભાઈ, શ્રી શૈલેષભાઈ મેહતાએ ટ્રસ્ટને રજીસ્ટર કરવા માટે ફી લીધા વગર કાર્ય કર્યું હતું. એ માટે તમામનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કાપડી સમાજના અગ્રણીઓ, કાપડી સમાજના પ્રમુખ શ્રી કાશભાઈ તંબોલી, શ્રી હિતેશભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ જાલમ, શ્રી સંદીપ તંબોલી, શ્રીમતી જયશ્રીબેનપટેલ, શ્રી તુષાર પાનવાલા, શ્રી ધર્મેશ તંબોલી, શ્રી જતીન કાપડી, શ્રી જશુભાઈ તંબોલી, શ્રી સુરેશભાઈ કાપડી તથા કમિટી સભ્યો અને દાતાશ્રીઓ ઉપસ્થિ રહ્યા હતા.