દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી સ્વ. ઈન્દિરા ગાંધીની પ્રતિમાને તોડવા પહેલાં પ્રતિમાની સુરક્ષા માટે બનાવાયેલ ‘ઈન્દિરા સ્મૃતિ મેનેજીંગ કમિટી’ને પ્રશાસને શા માટે જાણ નહીં કરી? અને તોડી તો કયા કારણોથી તોડી?: દાનહ કોંગ્રેસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08 : દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્ટર કચેરીના પરિસરમાં સ્થાપવામાં આવેલ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. ઇન્દિરા ગાંધીની પ્રતિમાને તોડી નાંખતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાનહ જિલ્લા પ્રશાસનના અધિકારીઓ પોતાની મનમાની ચલાવી સેલવાસ કલેક્ટર કચેરીના પરિસરમાં સ્થાપવામાં આવેલ અને દેશના પ્રથમ નાગરિક એવા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની ઝૈલસિંહ દ્વારા જેનું અનાવરણ કરવામાં આવેલ એવા દેશના પ્રથમ મહિલાપ્રધાનમંત્રી સ્વ. શ્રીમતી ઈન્દિરા ગાંધીની પ્રતિમાને તોડી દીધી છે. મહામહિમ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી આ બન્ને પદ દેશના સર્વોચ્ચ અને ગૌરવશાળી છે, છતાં પણ આ બંનેના નામ સાથે જોડાયેલ પ્રતિમાને તોડી મહાન હસ્તીઓનું દાનહ પ્રશાસને અપમાન કર્યું છે જેનો કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. સ્વ. વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પ્રતિમાને તોડી નાંખવાના વિરોધમાં કોંગ્રેસે દાનહ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે.
પ્રતિમાને તોડી નાંખવા બાબતે દાનહ કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી સ્વ. ઈન્દિરા ગાંધીની સ્થાપવામાં આવેલ પ્રતિમાની સુરક્ષા માટે ‘ઈન્દિરા સ્મૃતિ મેનેજીંગ કમિટી’ બનાવવામાં આવેલ હતી અને તેથી દાનહ કોંગ્રેસ કમિટી એ જાણવા માંગે છે કે, દેશનું ગૌરવસમા પ્રથમ મહિલા પ્રધાનમંત્રીની પ્રતિમાને તોડવા પહેલાં સુરક્ષા કમિટીને જાણ શા માટે નહીં કરવામાં આવી? અને તોડી તો કયા કારણોથી તોડી? એવા સવાલો પણ કર્યા છે.
વુધમાં દાનહ કોંગ્રેસે પૂછ્યું છે કે, શું તોડવામાં આવેલી પ્રતિમાની જગ્યાએ ફરી નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે કે નહી? દાનહ કોંગ્રેસે જણાવ્યું છે કે, જનતાને વિશ્વાસમાં લીધા વગર એવા કામો થતાં રહેશે તો પ્રશાસન અને જનતા વચ્ચે સંઘર્ષ વધી શકે છે અને પ્રશાસનનામનસ્વી કારભારો વિરૂદ્ધ કોંગ્રેસ અને જનતાને રોડ ઉપર ઉતરવા મજબૂર કરી શકે છે.