(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08: સામરવરણી ગ્રામ પંચાયતે ગંદકી ફેલાવનારાઓને ચારથી પાંચ વખત નોટિસો ફટકાર્યા બાદ પણ કેટલીક ચાલીઓમાં સાફસફાઈ નહીં રાખવાથી સામરવરણી પંચાયતના સેક્રેટરી શ્રીમતી નિર્મલાબેન દ્વારા આજે પંચાયત સ્ટાફ સાથે આંબાપાડામાં શૌકત અલીની ચાલ અને નવાપાડામાં સતીશ યાદવની ચાલમાં પહોંચી બન્ને ચાલીઓમાં ચારેય બાજુ કચરાના ઢગલાં જોઈને ચાલ માલિક શૌકત અલીને ફોન કર્યો, પણ શૌકત અલીએ ફોન ઉપાડયો ન હતો. ત્યારબાદ પંચાયત સેક્રેટરીએ સતીશ યાદવને ફોન કરીને ચાલમાં સ્વચ્છતા રાખવા જણાવ્યું હતું. આ બાબતે ચાલ માલિક સતીશ યાદવે સંતોષકારક જવાબ અને સહયોગ આપવાના બદલે પંચાયત સેક્રેટરી શ્રીમતી નિર્મલાબેનને ઉલ્ટો જવાબ આપતા જણાવ્યું હતું કે, તમારા પાસે વીજજોડાણ કાપવાનો અધિકાર નથી. ત્યારબાદ પંચાયત સેક્રેટરી શ્રીમતી નિર્મલાબેને વિજળી સપ્લાઈ કરતી કંપની ટોરેન્ટ પાવરના કર્મચારીઓને બોલાવીને શૌકત અલી અને સતીશ યાદવની ચાલીઓના કુલ 18 રૂમોના વીજ જોડાણો કાપી નંખાવ્યા હતા.
વીજ જોડાણ કાપવા બાદ ગ્રામ પંચાયત સેક્રેટરી શ્રીમતી નિર્મલાબેને જણાવ્યું હતું કે, સામરવરણી ગ્રામ પંચાયતે સૉલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઉપ રૂલ્સ-2022 અંતર્ગત ઉપરોક્ત બન્ને ચાલીઓની 18 રૂમોના વીજ જોડાણ કાપવામાં આવ્યા છે. બંને ચાલીઓમાં જ્યાં સુધી નિયમિત સાફસફાઈ રાખવાની બાહેંધરી આપવામાં નહીં આવે અને પંચાયતને પેનલ્ટી ચૂકવવામાં નહીં આવે ત્યાર સુધી બંને ચાલીઓમાં પાછું વીજ જોડાણ જોડવામાં આવશે નહીં.
પંચાયત સેક્રેટરી શ્રીમતી નિર્મલાબેને વધુમાં જણાવ્યું હતું કે, ‘અમે સ્વચ્છતા સાથે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી. તેથી લોકો પોતાના ઘરો, દુકાનો, લારીઓ, ફેક્ટરીઓ, ઓફિસોમાં તથા આજુબાજુ સાફ-સફાઈ રાખવી પડશે. લોકોના જાહેર આરોગ્ય સાથે સ્વચ્છતા સંબંધી કોઈપણ પ્રકારની લાપરવાહી બર્દાશ્ત કરવામાં આવશે નહીં. અમે ગંદકી ફેલાવનાર અન્ય ચાલો, હાઉસિંગ સોસાયટીઓ, કંપનીઓ, ભંગારના ગોડાઉનો તથા વિવિધ એકમો ઉપર ધ્યાન આપી રહ્યા છે. જ્યાં પણ સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન થતું દેખાશે ત્યાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.’