નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તિથલ બીચની લીધેલી મુલાકાત : ગામના સરપંચો સાથે બેઠક કરી માછીમારોને દરિયામાં ન જવા માટે કરેલું સૂચન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: આગામી 24 કલાકમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકે એ પહેલાં જિલ્લા પ્રશાસન એલર્ટ મોડમાં છે. કોસ્ટગાર્ડ અને એન.ડી.આર.એફ.ની ટીમો વલસાડના તટીય વિસ્તચારમાં તહેનાત થઈ પોઝિશન સંભાળી લીધી હતી. આ વાવાઝોડા સંદર્ભે પારડીના ધારાસભ્ય અને રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ તિથલ બીચની જિલ્લા પોલીસવડા ડો.રાજદિપસિંહ ઝાલા સાથે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તિથલ ગામના સરપંચ રાકેશ પટેલ તેમજ આજુબાજુના ગામોના સરપંચો સાથે મીટીંગ કરી જરૂરી તાગ મેળવ્યો હતો.
હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે, 15 જૂન બપોર સુધી ગંભીર ચક્રવાતી રૂપ ધારણ કરી શકે છે. ચક્રવાતી તોફાન પોરબંદરથી 600 કી.મી. દૂર છે. તે નલીયા, કચ્છમાંથી પસાર થવાની સંભાવના છે. 13 થી 15 જૂન દરમિયાન 40 કી.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. તેથી માછીમારોને આગામી પાંચ દિવસ દરમિયાનઅરબી સમુદ્રમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય કોસ્ટગાર્ડ ગુજરાત દમણ-દીવના માછીમારોને નાવિકોને સાવચેતી અને સલામતિના પગલાંની સલાહ આપી છે.
મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, સંભવિત વાવાઝોડને લઈને સરકાર કટિબ્ધ્ધ છે. તમામ લોકોએ સુરક્ષા જાળવવી જોઈએ. સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. કોઈ પણ બાબતને સહેલાઈથી લેવી ન જોઈએ. વાવાઝોડુ હજુ પણ સક્રિય હોવાથી જવાબદાર નાગરિક તરીકે સાવચેતીના પગલા લેવા જરૂરી છે એમ જણાવી માછીમારોને દરીયામાં ન જવા માટે સાવચેત કર્યા હતા. સાથો સાથ ઉપસ્થિત ઈલેકટ્રોનિક મીડિયા કર્મીઓને સ્થિતિ અંગે વાકેફ કર્યા હતા. પરિસ્થિતિના અવલોકન વેળા ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.