નવસારી જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા આહ્વાન કરતા જિલ્લા કલેક્ટર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.27: સંકલિત બાળ વિકાસ યોજના જિલ્લા પંચાયત નવસારીની કચેરી દ્વારા કુપોષણ મુકત નવસારી પ્રોજેકટ જન જાગૃતિ અભિયાનના કાર્યક્રમનું આયોજન આજરોજ જ્ઞાન કિરણ ઢોડિયા સમાજની વાડી, સુરખાઈ તા.ચીખલી, જિ.નવસારી ખાતે જિલ્લા કલેકટરશ્રી અમીત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ જન જાગૃતિ અભિયાનના કાર્યક્રમની શરુઆતમાં જિલ્લા ઈન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો.અતુલ ગજેરા દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ નવસારી જિલ્લાની આઈ.સી.ડી.એસ. શાખાના આંગણવાડીઓ હેઠળ આવરી લીધેલા વિવિધ લાભાર્થીઓની વિગત આપવામાં આવી અને કુપોષણ મુક્ત નવસારી પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવનાર આગામી વિવિધકામગીરીઓની રૂપરેખા આપવામાં આવી હતી.
જિલ્લા સંગઠન પ્રમુખશ્રી ભુરાભાઈ દ્વારા ગત વર્ષે આ પ્રોજેક્ટ હેઠળ મા.કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની આગેવાનીમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે કામગીરીઓ કરવામાં આવી અને તેના થકી જિલ્લામાં 67 ટકા જેટલા કુપોષણ દરના ઘટાડા થવા બાબતે સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લો પ્રથમ હરોળમાં હોવાનુ જણાવ્યું તથા આ કામગીરીમાં જ્યાં જરુરી હોય ત્યાં સંગઠન પણ નૈતીક જવાબદારી નિભાવશે અને સરપંચશ્રીઓ અને ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ દ્વારા ગ્રામ્યકક્ષાના કુપોષિત બાળકોના વાલી અને અધિકારીશ્રીઓ વચ્ચે કડીરૂપ બની સંકલનની મહત્વની ભૂમિકા બજાવશે એમ જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે રીતે કામગીરીઓ કરી અને સિધ્ધિઓ મેળવી છે તે તમામની સહીયારી જવાબદારી ઉપાડવાની ભાવના હોવાનું જણાવાયું તથા ચાલું વર્ષે પણ તમામ અધિકારીઓ પદાધિકારીઓના સાથ સહકારથી આ જવાબદારી સારી રીતે નિભાવશે એવો આશાવાદ વ્યકત કરવામાં આવ્યો. જિલ્લા સમાહર્તા શ્રી અમીત પ્રકાશ યાદવે ગતવર્ષની જિલ્લાની કામગીરીને બિરદાવી અને જણાવ્યુ કે દરેક અધિકારીશ્રીઓ આંગણવાડીના કુપોષીત બાળકોને પોતાના બાળકો જેવી જ સારસંભાળ અને કાળજી લીધી અનેતેના થકી જ આ સારા પરીણામો આપણે મેળવી શકયા છીએ. આગામી સમયમાં નવસારી જિલ્લો કુપોષણ મુક્ત બને એ માટે તમામ વિભાગો અને પદાધિકારીઓ એકબીજાના સંકલનમાં રહી જવાબદારી નિભાવે અને જિલ્લાને 0% કુપોષણના સ્તરે લાવે. સાથે સાથે એ પણ જણાવવામાં આવેલ કે વર્ષ 2022 માં જાન્યુઆરી મહિનામાં કુપોષણ મુકત નવસારી અભિયાન શરૂ કરવામાં આવેલ હતું અને આ અભિયાન મારફત જિલ્લાના કુલ 1306 કુપોષિત બાળકોને વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીશ્રીઓને દત્તક આપવામાં આવેલ હતા જેમાં આપણા જિલ્લાના તમામ અધિકારીઓના સહકારથી 1306 કુપોષિત બાળકોમાંથી 879 બાળકોના પોષણ સ્તરમાં નોંધપાત્ર સુધારો થયેલ છે. બાળકોની નિયમિત આરોગ્ય તપાસ, વજન ઉંચાઇ, વાલીઓ સાથે પરામર્શ વગેરે જેવી અદ્ભૂત કામગીરીથી પ્રોજેકટને જવલંત સફળતા મળેલ છે.
આ સમારંભમાં નવસારી જિલ્લા પંચાયત સભ્યશ્રી, આગેવાનો, અને નવસારી જિલ્લાના સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને અંતે તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચીખલી દ્વારા સૌ મહાનુભાવો તથા આમંત્રિત મહેમાનો, લાભાર્થીઓ, પત્રકારો, અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માની કાર્યક્રમ પુર્ણ જાહેર કરવામાં આવ્યો.