કળીયુગમાં ભાગવત કલ્પવૃક્ષથી પણ વિશેષઃ સુપ્રસિદ્ધ કથાકાર ભરતભાઈ વ્યાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.27: દિલીપનગર ડેવલપમેન્ટએસોસિએશન દ્વારા આયોજીત સાપ્તાહિક શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવના બીજા દિવસે આજે સોમવારે સુપ્રસિદ્ધ કથાકાર શ્રી ભરતભાઈ વ્યાસે સુખદેવજીના જન્મની કથાનું શ્રવણ કરાવતા જણાવ્યું હતું કે, કળીયુગમાં ભાગવત મહાપુરાણ કલ્પવૃક્ષથી પણ વિશેષ છે. કથા અર્થ ધર્મ કામની સાથે સાથે ભક્તિ અને મુક્તિ પ્રદાન કરાવી જીવને પરમ પદ પ્રાપ્ત કરાવે છે.
દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ શ્રીમદ્ ભાગવતના બીજા દિવસે પરિક્ષિત સુખદેવની કથા અને વૈદિક મંત્રોની સાથે ભાગવત કથાનો આરંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સુપ્રસિદ્ધ કથાકાર શ્રી ભરતભાઈ વ્યાસે શ્રીમદ્ ભાગવત કથાનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું હતું કે, ભગવાન માનવને જન્મ આપતા પહેલાં કહે છે કે, એવું કર્મ કરવું જેથી બીજો જન્મ નહીં લેવો પડે. શ્રીમદ્ ભાગવત કથાને સાંભળવું દાન વ્રત તિર્થથી પણ વધીને છે. ભાગવતના શ્રોતાની અંદર જીજ્ઞાસા અને શ્રદ્ધા હોવી જોઈએ. પરમાત્મા દેખાતો નથી પરંતુ તે દરેકમાં વસે છે. આપણાં પૂર્વજો હંમેશા પૃથ્વીનું પૂજન અને રક્ષા કરી છે. તેના બદલામાં પૃથ્વીએ માનવનું રક્ષણ કર્યું છે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.