દેશભક્તિના ગીતોનાતાલ સાથે નિકળેલી તિરંગા પદયાત્રામાં સેલવાસના આર.ડી.સી. મોહિત મિશ્રા, જિ.પં. પ્રમુખ દામજીભાઈ કુરાડા સહિત પ્રશાસનિક અધિકારીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ સાથે મોટી સંખ્યામાં શહેરીજનોએ લીધેલો ભાગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી- અને દમણ-દીવ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં અને સેલવાસના નિવાસી નાયબ કલેક્ટર શ્રી મોહિત મિશ્રાની અધ્યક્ષતામાં આજે સેલવાસમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત જિલ્લા પ્રશાસન દ્વારા 175 મીટર લાંબા તિરંગા રાષ્ટ્ર ધ્વજ સાથે પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રામાં ખાનવેલના નિવાસી નાયબ કલેક્ટર શ્રી અમિત કુમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી, ન.પા. ચીફ ઓફીસર શ્રી સંગ્રામ શિંદે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તિરંગા પદયાત્રા યાત્રીનિવાસ ફલાય ઓવર બ્રીજથી શરૂ થઈ હતી જે શહીદ ચોક થઈ કલેક્ટર કચેરી ખાતે સમાપન થયું હતું. આ તિરંગા પદયાત્રામાં જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના કાઉન્સિલર, ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ, વિવિધ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો. આ તિરંગા યાત્રામાં ઢોડિયા પટેલ સમાજ દ્વારાએમના પરંપરાગત ઢોલ તૂરની સાથે, વારલી સમાજ દ્વારા તારપા તેમજ ઉત્તરાખંડ સમાજ, પ્રજાપતિ સમાજ, મરાઠી સમાજ, મુસ્લિમ સમાજ, મલયાલી સમાજ, રાજસ્થાની સમાજ અને અન્ય સમાજના લોકોએ તેમના પારંપરિક વેશભૂષામાં ભાગ લઈ પદયાત્રાનું આકર્ષણ વધાર્યું હતું. જેમાં અનેકતામાં એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત પ્રદેશની વિવિધ શાળાઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તિરંગા આકારમાં સાયકલ રેલી કાઢી હતી. પ્રદેશની એન.સી.સી., એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓની સાથે કેટલીક એન.જી.ઓ.એ પણ દેશભક્તિના ગીતોની ધૂન સાથે વાજતે ગાજતે ભાગ લીધો હતો અને સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગમાં રંગાવી દીધું હતું.