(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: પોલીસ મથેકથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકામાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કેટલીક વાર તો વહીવટી તંત્રના પાપે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ચીખલી તાલુકાના આલીપોર પાસે આવેલ જી.આર.બી ક્વોરીમાં કામ કરતા લાજરસભાઈ કોલધા તેમના પિતા મોહનભાઈ કોલધા સાથે ધરવખરીનો સામાન લેવા માટે સાંજના સમયે અઢારપીર ગયા હતા. અને સામાન લઈ પરત ક્વોરી ખાતે જતા રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. દરમ્યાન ચીખલીથી વાંસદા તરફ જતી એક આઈ-20 કારનં.જીજે-21-એએ-8233 ના ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડ ક્રોસ કરી રહેલા મોહન કોલધાને અડફતે લેતા જેમને જમણા પગમાં તેમજ શરીરે ઈજાઓ થતા 108 ની મદદે પ્રથમ સારવાર ચીખલીની સરકારી હોસ્પિટલમાં અને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવની ફરિયાદ લાજરસભાઈ મોહનભાઈ કોલધાએ કરતા પોલીસે આઈ-20 કાર ચાલક વિરૂધ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં બામણવાડા દેસાઈ ફળીયા ખાતે રહેતા દિનેશભાઈ સુખભાઈ હળપતિ તેમની પત્નિ ગીતાબેન હળપતિ સાથે બજાજ મોટર સાયકલ નં.જીજે-21-ઈ-3538 લઈ ખુડવેલ ચાર રસ્તા પાસે શાકભાજી લેવા માટે ગયા હતા. બાદ પરત ઘરે જતી વખતે કલીયારી ચાર રસ્તા પાસે બામણવાડા રોડ તરફ વળતા હતા તે દરમ્યાન રૂમલા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ એક ફોર વ્હિલર કાર નં.જીજે-21-સીસી-5272 ના ચાલકે મોટર સાયકલ સવાર દંપતિને અડફતે લેતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે દિનેશભાઈ સુખભાઈ હળપતિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગીતાબેનને શરીરે ઈજાઓ થતા સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે. બનાવની ફરિયાદ જીતુભાઈ જયંતીભાઈ હળપતિ(રહે.બામણવેલ દેસાઈ ફળીયા, તા.ચીખલી, જિ.નવસારી) એ કરતા પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.