(વર્તમાન પ્રવાહ, વાપી બ્યુરો)
વાપી, તા.13:
લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે આ કહેવત વાપીમાં રહેતા યુવક સાથે સાચી ઠરી છે. વાપી છરવાડામાં પૈસાનો વરસાદ વરસાવીસ કહી રૂા.1.62 લાખની ઠગાઈ કરાઈ હતી. જેમાં બંને પક્ષે સામસામી વાપી ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં એક પક્ષે પૈસાનો વરસાદ વરસાવી આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો હતો જેમણે 3 સામે ફરિયાદ નોંધાવી હતી જયારે બીજા પક્ષે રૂપિયા ડબલ કરવાની લાલચ આપી વિધિના રૂા.1.51 લાખ લીધેલ હોય તે પરત કરવા માટે ઢીક્કામુક્કીનો માર મરાયો હતો જેમણે 4 સામે ફરિયાદ નોંધાવી હતી.
વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, ધરમપુર તાલુકાના આંબોસી ભવઠાણમાં વિજય કાળુભાઈ મોર્યા (ઉં.આ.29) પરિવાર સાથે રહે છે. તેઓની પાંચ-છ મહિના પહેલા વિષ્ણુભાઈ રહે. ઉનાઈ સાથે મુલાકાત થઈ હતી અને તેમણે હરીભાઈ ગુરૂજી જેઓ રૂપિયા ઉપર વિધિ કરી ડબલ કરી આપવાની વિધિ જાણે છે કહયું હતું. જે માટે રૂા.1.51 લાખ લાવવાના હોય છે. ગત તારીખ 10-12-21 ના રોજ વાપીના પ્રતિક છોટુભાઈ પટેલ (રહે. છરવાડા, વાપી)એ ફોનકરીને જણાવેલ કે રૂપિયા ડબલ કરનાર કોઈ હોય તો જણાવજે તે બાદ વિજયે પોતાની પાસે રહેલ રૂપિયા ડબલ કરાવવા માંગતો હોય જેથી તેઓએ વિષ્ણુભાઈનો સંપર્ક કરી હરીભાઈ ગુરૂજી અનાવલમાં હાજર છે જેથી તેઓ પ્રતિકભાઈ સાથે ત્યાં પહોંચ્યા હતા અને તેઓ હરીભાઈ ગુરૂજી સાથે નરેશ (રહે. પાનસ ખુટલી), અશોક લાલજી માહયાવંશી સાથે વાપી રમજાનવાડી, મમતા એપાર્ટમેન્ટ છરવાડા પ્રતિકભાઈના ઘરે આવ્યા હતાં. જે ફલેટમાં રૂષભ લાલજી માહયાવંશી, અક્ષય ઉર્ફે અક્કી સંજય આહીર મળી પ્રતિકના ફલેટમાં રોકડા રૂપિયા 1.51 લાખ વિધિ કરી ડબલ બનાવવા કુંડુ બનાવી તે રૂપિયા હરીભાઈ ગુરૂજીને આપેલા હતાં. જે વિધિ માટે ગુરૂજીએ દરવાજો બંધ કર્યો હતો. અને ત્યારબાદ ગુરૂજી અને પ્રતિક બંને કળશ લઈ સ્મશાને ગયા હતા અને પ્રતિક દશેક મિનિટમાં ફરી રૂમ પર આવી નારિયેળ રહી ગયેલ છે તે લેવા માટે આવેલ હોવાનું જણાવ્યું હતું. જે બાદ સ્મશાને ગયેલ પ્રતિકનો ફોન આવ્યો કે ગુરૂજી સ્મશાનમાં નથી. જેથી પ્રતિક મિત્રો સાથે ફલેટ પર આવી તેઓની સાથે બોલાચાલી કરી રૂપિયા પરત માંગ્યા હતાં. જે બાદ ગામના લોકો આવી જતા તેઓ ત્યાંથી નીકળી ગયા હતા અને ગુરૂજીની શોધખોળ કરી હતી.
જે બનાવ અંગે વિજય મોર્યાએ (1) પ્રતિક છોટુભાઈ પટેલ (2) અશોક લાલજીભાઈ માહયાવંશી (3)રૂષભ લાલજી માહયાવંશી (4) અક્ષય ઉર્ફે અક્કી સંજય આહીર સામે વાપી ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જયારે સામા પક્ષે પ્રતિકભાઈ છોટુભાઈ માહયાવંશી પટેલ (ઉં.આ.28, રહે. છરવાડા, ગણેશ નગર, વાપી)ને વાપી છરવાડા ગણેશ નગરમાં રહેતો મિત્ર અશોક પટેલે ચંદુ ભગતના ગામનો અનિષ પાસે જે માણસો આવેલા છે તેઓ પૈસાનો વરસાદ પાડવાનું કામ કરે છે. જે પૈસાની લાલચમાં આવી અનાવલમાં રહેતા હરીબાપુને મળવાનું હોય જેથી તેને લેવા માટે ધરમપુર કાર લઈને આવ્યા હતા જયાં તેઓના સંપર્કમાં વિજય આવેલ હોય જેમણે ફોન કરી બાપુને જણાવ્યું હતું. જેથી બાપુએ રૂ.11 હજાર અમારા માણસને આપો જે બાદ તેઓએ તે રકમ આપી હતી અને હરીબાપુને વાપી છરવાડા ઘરે લાવ્યા હતાં. જયાં પૂજાવિધિ કરી હરીબાપુએ રૂા.1.51 લાખ પૂજામાં મૂકવા વિજયને જણાવ્યું હતું. જે બાદ સલવાવ સ્મશાન ચાલો કહયું હતું. જે બાદ બાપુએ નારિયેળ લાવવાનું ભૂલી ગયાનું કહી પ્રતિકભાઈને રૂમ પર મોકલ્યો હતો. જે બાદ નારિયેળ લઈ પરત ફરતા સ્મશાન પર કોઈ હતું નહીં. તેઓના રૂા.1.62 લાખ લઈ વિશ્વાસઘાત કરનારા (1) વિજય કાળુભાઈ મોર્યા (રહે. આંબોસી ભવઠાણ, તા.ધરમપુર) (2) નરેશ (રહે. પાનસ, ખુટલી, તા.કપરાડા) (3) હરીબાપુ (રહે. અનાવલ) સામે વાપીડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગત અનુસાર, આ પ્રકરણમાં પોલીસે એકની અટક કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Next Post