(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.20: શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા અતુલ રૂરલ ડેવલોપમેન્ટ અતુલના સહયોગથી સ્વેચ્છિક રક્તદાન શિબિરનું આયોજન તારીખ 19.3.2023 ને રવિવારના રોજ વલસાડ રક્તદાન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું.
માહ્યાવંશી સમાજ પણ અન્ય સમાજની સાથે હરેક સમાજ ઉપયોગી કાર્યો કરી ખભેથી ખભે મિલાવી ચાલી રહ્યો હોવાનો સમાજમાં એક આગવો સંદેશો પહોંચે ના શુભ આશયને લઈ વર્ષોથી અનેકવિધ સમાજ ઉપયોગી કાર્ય સાથે સંકળાયેલ શ્રીવિદ્યાથી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિરમાં 78 જેટલા રક્તદાતાઓ રક્તદાન માટે ઉપસ્થિત રહ્યા હતા પરંતુ 12 જેટલા દાતાઓનું રક્ત ઈમરજન્સીમાં કામ લાગે એવું હોય 66 યુનિટ રક્ત મેળવી શકયા હતા. સંસ્થા તરફથી તમામ રક્તદાતાઓને પ્રશંસા પત્ર અને આકર્ષક ગિફટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિરમાં સમાજની નવ જેટલી મહિલાઓએ આગળ આવી સામેથી રક્તદાન કરાતા માહ્યાવંશી સમાજની મહિલાઓમાં પણ રક્તદાન અંગેની જાગૃતતા હોવાની પ્રતીતિ થઈ હતી જ્યારે ફક્ત 18 વર્ષીય વિનિ નીતિનભાઈ પટેલે પણ રક્તદાન કરી અન્ય મહિલાઓ પણ ડર છોડી મોટી સંખ્યામાં રક્તદાન માટે આગળ આવે એ અંગેની પહેલ કરી હતી.
રક્ત કોઈ ફેક્ટરીઓમાં નહીં પરંતુ માનવ રક્તદાન દ્વારા જ મેળવી શકાય એમ હોય દરેક સ્વસ્થ પુરુષે દર ત્રણ મહિને અને મહિલાએ દર ચાર મહિને રક્તદાન કરવું જોઈએ જેથી સમગ્ર ભારતમાં રક્તની પડતી અછત નિવારી શકાય.
માહ્યાંવંશી સમાજના અગ્રણી દિલીપભાઈ ભારતીના અધ્યક્ષ સ્થાને તથા ગજેન્દ્રભાઈ પીઠાવાલા અને ઝહીરભાઈ તથા 90 વખત રક્તદાન કરનારા મુકેશભાઈ જયરામભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ રક્તદાન શિબિરમાં જયદીપ પટેલ મહેશ પટેલ, વિરેન સોઈવાલા,ભાવેશ મિષાી, જાડીયા વરાડીયા, રિતેશ જાખીયા, યોગન શોભા, દીક્ષિત હરિયાવાલા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા અનિલ ભવાની, નીતિન પટેલ અને રાજેશ સુરતી વિગેરેનાઓએ ખૂબ મહેનત કરી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. સંસ્થાના પ્રમુખ અનુપ મેહવાલાએ આભાર વિધિ નિભાવી હતી.