(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.24: ઉમરગામ પાલિકાએ નીતિ નિયમો નેવે મૂકયા હોવાની કેટલીક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં બિલ્ડરોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જેમાં આગની ઘટના વખતે સલામતી આપવા માટે સરકારે બનાવેલા નિયમોને પણ કોરાણે મૂકવામાં આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે. જેથી ફલેટ ધારકો અને આજુબાજુના મકાનો માટે સલામતીનું જોખમ ઊભુ થવાની શકયતા નકારાતી નથી. ઉમરગામ પાલિકાએ છેલ્લા એક વર્ષમાં આપેલા બિલ્ડીંગ યુઝ પરમિશન અને એન.એ.ની પ્રક્રિયામાં રજૂ કરેલો અભિપ્રાય વાસ્તવિકતાથી અલગ હોવાની શકયતા જણાઈ રહી છે. જેના સંદર્ભમાં પાલિકાનું ધ્યાન દોરવા માટે લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે.
ઉમરગામ પાલિકા દ્વારા બીયુપી સર્ટિફિકેટ આપવા પહેલા બિલ્ડીંગોએ નિયમ મુજબ અનેશરતોને આધીન મળેલ પરવાનગી મુજબ કામ કરેલ છે કે નહીં એનું સ્થળ નિરીક્ષણ કરવાનું ફરજિયાત છે. જેમાં સરકારે આગની સલામતી માટે અમલમાં મુકેલા કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે કે નહીં એની ચોકસાઈ કરવાની હોય છે. ઉમરગામ પાલિકાએ છેલ્લા એક વર્ષમાં આપેલ બીયુપી સર્ટિફિકેટમાંથી પાંચ જેટલા બાંધકામોની ફાઈલો તપાસતા અને સ્થળ નિરીક્ષણ કરતા ધારા-ધોરણ મુજબ આપેલી પરવાનગીથી વિપરીત હોવાની પ્રબળ શકયતા જણાઈ રહી છે. આ બાંધકામો સામે પાલિકાના ઈજનેર અધિકારીશ્રીએ સ્થળ નિરીક્ષણ કરી રજૂ કરેલો રિપોર્ટ શંકાસ્પદ લાગી રહ્યો છે. ફાયર સલામતીનું સર્ટિફિકેટ લેવા માટે કરવામાં આવેલી પ્રક્રિયા પણ શંકાના દાયરામાં લાગી રહી છે. ફાયર સલામતી રીજનલ ઓફિસ સુરત ખાતે આ સંદર્ભમાં ટેલિફોનિક ચર્ચા કરતા એમણે સર્ટિફિકેટ પાલિકાના ઈજનેર અધિકારીશ્રીના રિપોર્ટના આધારે રજૂ કર્યું હોવાનું જણાવ્યું હતું. આમ ઈન્સ્પેક્શન રિપોર્ટ થયો છે કે નહીં એ પણ તપાસનો વિષય છે. પરંતુ એમણે લેખિત રજૂઆત બાદ તપાસ કરવાની બાહેંધરી આપી છે. હવે આ ઘટનામાં પાલિકા વહીવટ તંત્ર તપાસ હાથ ધરી શું પગલાં ભરે એની રાહ જોવાઈ રહી છે.