-
દાદરા નગર હવેલી અને દમણ-દીવના આજે તમામ ગામ, ફળિયા, વોર્ડ, શેરી અને બૂથ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ને સાંભળવાના યોજાયેલા કાર્યક્રમો
-
સંઘપ્રદેશના પ્રભારી અને ‘મન કી બાત’ કાર્યક્રમના રાષ્ટ્રીય સંયોજક સાંસદ વિનોદ સોનકરની કડક સૂચના અને દિશા-નિર્દેશથી દાનહ અને દમણ-દીવ ભાજપ સંગઠને કરેલું અસરકારક આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
દમણ, તા.26 : દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આજે તમામ ગામ, ફળિયા, વોર્ડ, શેરી અને બૂથ ઉપર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને માણવામાં આવ્યો હતો.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપના પ્રભારી શ્રી વિનોદ સોનકરની કડક સૂચના અને દિશા-નિર્દેશથી ‘મન કી બાત’ કાર્યક્રમના સંઘપ્રદેશના સંયોજક શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલની પહેલથી પ્રદેશના તમામ બૂથ ઉપર ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરાયું હતું. જેમાં ટીવી કે રેડિયો કે યુ-ટયુબના માધ્યમથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ના 99મા સંસ્કરણને માણવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંગદાન માટે કરેલી સંવેદનશીલ અપીલની પણ લોકોમાં ધારી અસર થઈ હતી અને સૌર ઊર્જાના ક્ષેત્રે દીવની ઉપલબ્ધિના કરાયેલા ઉલ્લેખ દરમિયાન લોકોએ તાળીઓ પાડી પ્રધાનમંત્રીશ્રીના ઉદ્ગારને ઝીલી લીધો હતો. આગામી એપ્રિલ મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થનારા પ્રધાનમંત્રીશ્રીના ‘મન કી બાત’ના 100મા સંસ્કરણને વધુ યાદગાર અને લોકાભિમુખ બનાવવા માટે અત્યારથી જ પ્રયાસો શરૂ થયા છે.