(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: વલસાડના રાબડા ગામે આવેલ સુપ્રસિદ્ધ માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ચૈત્રી નવરાત્રી દરમ્યાન નવ દિવસ રાજસૂય યજ્ઞ તેમજ વૈદિકપરંપરા અનુસાર રાશ ગરબાનો ભવ્યાતિભવ્ય સાંસ્કળતિક કાર્યક્રમ ઊજવાઈ રહ્યો છે. અલૌકિક એવા સાંસ્કળતિક રાસ ગરબામાં જાણે કુળદેવીઓ સાક્ષાત ગરબે રમતા હોય તેની અનુભૂતિ કરવા માટે માત્ર ગુજરાતમાંથી નહીં, પણ સમગ્ર ભારતવર્ષ અને વિદેશમાંથી અસંખ્ય માઈભક્તોએ અહિયાં પધારીને લાભ લીધો છે અને ધન્યતા અનુભવી છે. અતિ દુર્લભ એવા રાજસૂયયજ્ઞ તથા રાસ ગરબાનું લાઈવ પ્રસારણ અનેક ટી.વી. ચેનલો તથા યુટયુબ પર કરવામાં આવી રહ્યું હોવાથી સમગ્ર વિશ્વમાં અસંખ્ય લોકો કાર્યક્રમ નિહાળીને આનંદની અનુભૂતિ કરી રહ્યા છે.
સમગ્ર સૃષ્ટિના સર્જનહારા પરાશક્તિ-માઁ વિશ્વંભરીના સાક્ષાત દર્શન કરનારા ધરતી પુત્ર શ્રી મહાપાત્રએ પરાશક્તિ પાસેથી દિવ્ય સંદેશ ‘‘અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા વળો અને ઘરને જ મંદિર બનાવો”, વૈદિક વિચારધારા, ઓરિજિનલ ભક્તિ, મોક્ષ પ્રાપ્તિનો માર્ગ વગેરે જે કંઈ મળ્યું તે બધું માત્ર પોતાના પુરતું સીમિત ના રાખતા વિશ્વભરના પ્રત્યેક માનવી સુધી પહોંચે, વિશ્વ આખામાં પરિવર્તન થાય તેમજ વિશ્વ શાંતિની સ્થાપના થાય તેવા શુભ આશયથી અલૌકિક, અદભુત અને દિવ્ય એવા આ ધામનું નિર્માણ કરીને નવયુગ નિર્માણ કરવા માટે વૈચારિક ક્રાંતિનું મંડાણ કર્યું છે. શ્રી મહાપાત્રની પ્રેરણાથી આજે સમગ્ર વિશ્વમાં અસંખ્ય લોકોએ અંધશ્રદ્ધા છોડીનેપોતાના ઘરને મંદિર બનાવ્યા છે. જેના કારણે લોકોમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું છે. આવા ઘરોમાંથી આધિ-વ્યાધિ-ઉપાધિથી દુર થતાં જ લોકોને પોતાના ઘરમાં મનની ખરા અર્થની શાંતિ અને સ્વર્ગની અનુભૂતિ થવા લાગી છે. શ્રી મહાપાત્ર કહે છે કે આ યુગમાં ભાગ્ય વિધાતા-માઁ વિશ્વંભરી ખુદ આ પૃથ્વીલોક પર પધાર્યા છે, આપણને આટલો સુંદર માનવદેહ મળ્યો છે તો તે આપણું શેષ જીવન અવશેષ બની જાય તે પહેલા માંની વૈદિક વિચારધારા આધીન જીવન જીવીને વિશેષ બનાવે. દરેક મનુષ્ય ખરા અર્થમાં માનવ બને અને પોતાની ફરજ નૈતિકતા અને પ્રમાણિકતાથી નિભાવે, વૈદિક સદગુણોનું આચરણ કરીને પોતાના જીવાત્માનો ઉદ્ધાર કરે અન્યથા જન્મ-મરણના ફેરા કયારેય ખૂટવાના નથી.