ત્રણ દિવસમાં રૂા.37.03 લાખની વસૂલાત સાથે કુલ 93.73 ટકા વસૂલાત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા વેરા વસૂલાતઅભિયાન અંતર્ગત છેલ્લા ત્રણ દિવસમાં લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્ષ ના ભરનાર કમર્શિયલ મિલકતોને તાળાં મારવા સાથે 3 સોસાયટીના નળ જોડાણ કાપી રૂા.37.03 લાખની વસૂલાત કરવામાં આવી હતી. ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલના માર્ગદર્શનમાં ઘરવેરા વિભાગના ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કર, ટેક્ષ ઈન્સ્પેકટર દીપક ચભાડીયા તથા ક્લાર્ક શશીકાંતની ટીમે વાપીમાં સહારા માર્કેટમાં 3 દુકાન, આઝાદ કોમ્પ્લેક્ષમાં 1 ઓફિસ, સરસ્વતીનગરના શ્રીજી પેલેસમાં 7 દુકાન, પૃથ્વી કોર્નરમાં 1 દુકાન, જલારામ શોપિંગ સેન્ટરમાં 3 દુકાન, સ્કાયલોનમાં 5 ઓફિસ, ડુંગરા દમણગંગા ઈન્ડસ્ટ્રીયલમાં 7 દુકાન મળી કુલ 27 કમર્શિયલ મિલકતોને તાળાં મારી રૂા.37.03 લાખની વસૂલાત કરી હતી. તથા પાણી વિભાગના વિનોદ સાળુંકેની ટીમ દ્વારા ચલા વિસ્તારમાં ઘરવેરો ના ભરતા વર્ધમાન સોસાયટી, ચારભૂજા એપાર્ટમેન્ટ તથા યુનિટીપાર્કના નળ જોડાણ કાપવામાં આવ્યા હતા. વાપી પાલિકાએ રૂા.1726.79 લાખના માંગણા સામે અત્યાર સુધીમાં રૂા.1618.66 લાખની વસૂલાત કરતાં વસૂલાતની ટકાવારી 93.73 ટકા ઉપર પહોંચી છે. હાલમાં લાંબા સમયથી વેરો ના ભરતા બાકીદારો સામે કાર્યવાહી અંતર્ગત તાળાં મારવાની તથા નળ જોડાણ કાપવાની કાર્યવાહી કરવામાં આવતા બાકીદારો દ્વારા વેરોભરવામાં આવી રહ્યો છે. 31 માર્ચ સુધીમાં બાકી વેરા ના ભરનારની તમામ રકમ ઉપર 12 ટકા વ્યાજ ચઢી જશે.