પુસ્તક પરબના સ્વયં સેવકોએ શ્રાદ્ધ કે ગંગા સ્નાન કરવા જવાની જરૂર નથી એમની નિઃસ્વાર્થ કાર્યોનું અર્પણ જ તર્પણ બની ગયું છે : અંકિત દેસાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: પારડી પુસ્તક પરબ એ જ્ઞાન ગંગા છે. જેનાં બીજનુ રોપણ એક વર્ષ પહેલા થયું હતું એ વટવૃક્ષ બનશે. અહી ભાષા કરતા વાંચનનું મહત્વ વધી જાય છે. આ પુસ્તક પરબમાં દરેક જાતનાં હવે દુર્લભ એવા પુસ્તકોનો મેળો ભરાયો છે. આ પુસ્તક પરબના સ્વયંસેવકોએ હવે શ્રાદ્ધ કરાવવાની પણ જરૂર નથી કે ગંગા સ્નાન કરવા જવાની પણ જરૂર નથી. એમના નિઃસ્વાર્થ સેવા કાર્યોનું અર્પણ જ તર્પણ બની ગયુ છે.
ઉપરોક્ત અવતરણ સાથે પુસ્તક પરબના આયોજક અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરી સમારોહના મુખ્ય વક્તા એવા પ્રખ્યાત લેખક શ્રી અંકિતભાઈ દેસાઈ એ સંબોધનની શરૂઆત કરી હતી.વધુમાં જણાવ્યું હતું કે, કિલ્લા પારડી ખાતે પુસ્તક પરબની શરૂઆત કરી જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરનાર પુસ્તક પરબ કિલ્લા પારડીનાં પ્રણેતા એવા લેખિકા અને સાહિત્યકાર કિંજલબેન પંડયા અને એમની ટીમને શાબ્દિક અભિનંદન પાઠવ્યા હતાં.
પારડી ખાતે સાહિત્ય પ્રેમીઓ, રસિકો અને વિદ્યાર્થીઓમાં વાંચન ભૂખ જાગે તેમજ પુસ્તક વાંચન પ્રેમીઓને વિવિધ જ્ઞાનનો ભંડાર પુસ્તક થકી મળી રહે એ માટે લેખિકા કિંજલ પંડયા દ્વારા પારડી ખાતે પુસ્તક પરબની શરૂઆત કરવામાં આવી હતી. દર મહિલાનાં પહેલા રવિવારે યોજાતા આ પુસ્તક મેળામાં 1800 થી વધુ પુસ્તકો વાંચકો માટે ખુલ્લા પ્રદર્શન માટે રાખવામાં આવે છે. જેમાં પુસ્તક પ્રેમીઓ મનગમના પુસ્તકોને વાંચન માટે નિઃશુલ્ક એક મહિના માટે લઈ જાય છે અને બીજા મહિનામાં પુસ્તક પરબના પ્રદર્શનમાં પરત કરે છે.
પુસ્તક પરબનાં વાર્ષિકો સમારોહમાં 2000 જેટલા પુસ્તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક મેળામાં વિખ્યાત લેખકોનાં દુર્લભ એવા પુસ્તકો પણ રાખવામાં આવ્યા હતા તેમજ 100 જેટલા પુસ્તકોને વાચકો મળ્યા છે.
પુસ્તક પરબનાં વાર્ષિક સમારોહમાં પારડી સહિત આસપાસનાં વિસ્તારનાં સાહિત્યપ્રેમી, લેખકો તથા પત્રકારો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુસ્તક મેળોનો લ્હાવો માણ્યો હતો.