(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.07: ચીખલી તાલુકાના કુકેરી અને સુરખાઈમાં આરોગ્ય વિભાગના સબ સેન્ટરોના જર્જરિત મકાનથી તાલુકાના આરોગ્ય અધિકારી જ અજાણ હોય ત્યારે તંત્ર પર શું અપેક્ષા રાખવી તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
ટીએચઓ દ્વારા આરોગ્ય વિભાગના મકાનોની સ્થિતિ અંગેની જાણકારી રાખી ખરેખર પીઆઈયુ શાખાને વખતો વખત જાણ કરવી જોઈએ પરંતુ લશ્કર કયાં લડે તે સેનાપતિ ને જ ખબર ન હોય ત્યારે કહેવા કોને જવું.
ચીખલી તાલુકામાં 12-જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 79-જેટલા સબ સેન્ટરો છે. જેમાં શરદી, ખાંસી, તાવ, સુગર, પ્રેશર સહિતના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. આ ઉપરાંત બાળકોને રસી, સગભર્) મહિલાઓનું રૂટિન ચેકઅપ સહિત તમામ આરોગ્યલક્ષી સેવાઓ પુરી પડતી હોય છે. સરકાર દ્વારા દરેક પીએચસી ઉપર બે-બે તબીબોની પણ નિમણૂક કરી છે. અને પૂરતો સ્ટાફ પણ ઉપલબ્ધ છે.
આ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરોનું સંચાલન તાલુકા હેલ્થ ઓફિસર એટલે કે ટીએચઓ દ્વારા કરવાનું હોય છે. પરંતુ હાલે કુકેરી અને સુરખાઈ સ્થિત આરોગ્યના સબ સેન્ટરો જર્જરિત હાલતમાં છે. અને દર્દીઓના માથે જોખમ હોવા સાથે કર્મચારીઓ પણ ભયના ઓથાર હેઠળ કામ કરતા હોય છે.પરંતુ મકાનની આવી સ્થિતિ અંગેની ટીએચઓને કોઈ જાણકારી જ નથી ત્યારે કોઈ અણબનાવ બને તો તે માટે જવાબદાર કોણ ? ટીએચઓ દ્વારા મકાનોની સ્થિતિ અંગેની પણ જાણકારી રાખી જે જરૂરિયાત હોય તે અંગેની લેખિત જાણ બાંધકામ કરનાર પીઆઈયુ શાખાને કરવી જોઈએ પરંતુ ટીએચઓ પાસે જાણકારી જ ન હોય ત્યારે જાણ કરવાનો પ્રશ્ન રહેતો નથી. આ પ્રકારની તાલુકાના આરોગ્ય અધિકારી ના બેદરકારી ભર્યા વહીવટમાં લોકોને હાલાકી વેઠવી પડતી હોય છે.
નવાઈની વાત તો એ છે કે સુરખાઈ અને કુકેરીના સબ સેન્ટરોના મકાનોની જર્જરિત સ્થિતિ અંગેના અખબારી અહેવાલ બાદ પણ ટીએચઓ અજાણ હતા. ત્યારે લોકોની સુખાકારી અંગે તેઓને કેટલી ગંભીરતા છે તે જાણી શકાય તેમ છે. ખરેખર તો મકાનોની જર્જરિત સ્થિતિ અંગે ટીએચઓ તરીકે તેમણે પીઆઈયુ સાથે કેટલી વાર પત્ર વ્યવહાર કર્યા તેની પણ તપાસ થવી જોઈએ.
ટીએચઓ ડો.અનિલભાઈનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સુરખાઈ અને કુકેરીના મકાનની સ્થિતિ અંગે મને જાણકારી નથી મને તમારા દ્વારા જાણકારી મળેલ છે. ત્યારે આ બાબતે તપાસ કરાવી લઉં છું.