ડેપ્યુટી સરપંચ બાદ સરપંચે પણ સત્તામાંથી હાથ ધોવાનો વારો આવ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.11: નોગામા ગ્રામ પંચાયતની ખાસ સામાન્ય સભામાં મહિલા સરપંચ સામે પણ બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા ડેપ્યુટી સરપંચ બાદ સરપંચે પણ સત્તામાંથી હાથ ધોવાનો વારો આવ્યો. નોગામા ગામે તળાવમાંથી આડેધડ માટી ખનન જ સરપંચ અને ઉપ સરપંચ ને ભારે પડ્યું હતું.
નોગામા ગ્રામ પંચાયતમાં સોમવારના રોજ ઉપસરપંચ વિનોદભાઈ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થયાબાદ મંગળવારના રોજ સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્તના મામલે તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી જશવંતભાઈ ચૌધરી તલાટી હરિદાસ ખડગેની ઉપસ્થિતિમાં યોજાયેલ સામાન્ય સભામાં સરપંચ સરસ્વતીબેન તેજલકુમાર પટેલ સામેની અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં નવ જેટલા સભ્યોઍ મતદાન કરતા સરપંચ સામે પણ બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થવા પામી હતી. અવિશ્વાસની દરખાસ્તના વિરોધમાં ઍક સભ્ય અને સરપંચ મળી માત્ર બે જ મત પડ્યા હતા. અવિશ્વાસની દરખાસ્ત લઈને લોકો મોટી સંખ્યામાં ઍકત્ર થતાં પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. સરપંચ અને ઉપ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં તે અંગેનો અહેવાલ તલાટી દ્વારા તાલુકા પંચાયતમાં કરાયા બાદ નિયત સમય મર્યાદા બાદ ટીડીઓ દ્વારા હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરાશે પરંતુ સરપંચ ઉપ સરપંચ બંને સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું.
નોગામાં ગામે તળાવમાંથી મોટા પાયે માટી ખનન સામે ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાઍ લેખિત રજૂઆત કરી માટી ખનન બંધ કરાવી દેવાયું હતું. જેમાં સરપંચ પર માછલા ધોવાયા હતા માટી ખનનના પ્રકરણ બાદ બહુમત સભ્યો વિફરતા સરપંચ અને ઉપ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ હતી.