પ્રતિ વર્ષે 14 એપ્રિલના રોજ દેશભરમાં ફાયર-ડે ની ઉજવણી કરવામાં આવે છે : વાપીમાં ત્રણ સ્થળોએ ફાયર-ડે ની ઉજવણી કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: આજે 14 એપ્રિલ એટલે ફાયર-ડે ની ઉજવણીનો દિવસ ભારતભરમાં ફાયર-ડે ની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત આજે વાપી ટાઉન ઈચ્છામૂર્તિ હનુમાન મંદિરમાં ફાયર-ડેની ઉજવણીનો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. તેમજ ફાયર વિભાગમાં ફરજ બજાવતા વીર યોધ્ધાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
રાઉન્ડ ધી ક્લોક કોઈપણ ઈમરજન્સીમાં ફાયર બ્રિગેડ ટીમ લોકોની સેવા કરવા તત્પર રહે છે. સર્વ ટુ સેવ સાથે ફાયર બ્રિગેડ એલર્ટ પોઝિશનમાં તહેનાત રહે છે. આજે ભારતવર્ષમાં ભારત સરકારે 14 એપ્રિલનો દિવસ ફાયર-ડે તરીકે ઉજવવાની જાહેરાત કરેલી છે. 14 એપ્રિલના દિવસે ફાયરની મોટામાં મોટીદુર્ઘટના ઘટી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત ચીફ ફાયર ઓફિસર મુકેશભાઈએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, સન 1944 થી 14 એપ્રિલના રોજ મુંબઈ ડોક યાર્ડમાં એક બ્રિટીશ માલવાહક જહાજમાં ભીષણ આગ લાગી હતી. જહાજમાં સ્ફોટકો-કેમિકલ હોવાથી ભિષણ આગે વરવુ સ્વરૂપ લીધુ હતું. પુરુ જહાજ આગની લપેટમાં આવી ગયું હતું. આગ બુઝાવવા સમગ્ર બોમ્બેની ફાયર ફોર્સ ડયુટીમાં હતી. આ દુર્ઘટનામાં 66 જેટલા ફાયરમેન શહિદ થયા હતા. જ્યારે 300 ઉપરાંત સિવિલીયનના મોત થયા હતા. તે દિવસની યાદગીરી અને મૃતકોને શ્રધ્ધાંજલી માટે 14 એપ્રિલનો દિવસ દેશભરમાં ફાયર-ડે તરીકે ઉજવાય છે. આજે વાપીમાં ફાયરની ગાડીઓને શણગારી, અવરનેશના સ્લોગનો સાથે શહેરમાં ફરીને ફાયર-ડેની ઉજવણી કરી હતી. ફાયર-ડે ઉજવણી અન્ય ત્રણ સ્થળોએ પણ કરાઈ હતી. જેમાં પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ, સેલ્બી હોસ્પિટલ અને એક ગારમેન્ટ યુનિટનો સમાવેશ થાય છે.