સ્વામિનારાયણ મંદિર નજીક રોડના વળાંકને સીધો કરવા માટે 80 જેટલા વૃક્ષોને હટાવવામાં આવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના મુખ્ય કહેવાતા સેલવાસ-નરોલી રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીક મુખ્ય રસ્તા ઉપરના વળાંકને સીધો કરવાની પ્રક્રિયા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ વળાંક ઉપર વારંવાર નાનામોટા અકસ્માતો થતા હતા, જેમાં ચારથી વધુ યુવાનોનામોત પણ થયા હતા. જે સંદર્ભે નરોલી ગામના અગ્રણીઓ દ્વારા અકસ્માત ઝોન બનેલા વળાંક ઉપર સ્પીકબ્રેકર(બમ્પ) લગાવવાની પણ માંગ કરી હતી. ગામલોકોની માંગણીને ધ્યાનમાં લઈ વહીવટીતંત્ર દ્વારા આ રસ્તાનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, અને હવે આ રસ્તા ઉપર જોખમી વળાંકને સીધો કરવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે જેમાં 80 કરતા વધુ શીતળ છાંયડો આપતા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે.
રોડને સીધો કરવાના ભાગરૂપે સ્વામિનારાયણ મંદિરના સ્વયંસેવકો દ્વારા રસ્તાને લાગેલી દીવાલનું સ્વયંભૂ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. હાલમાં આ રસ્તાની બન્ને સાઈડના વૃક્ષો કાપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતા પર્યાવરણપ્રેમીઓ દુઃખની લાગણી પણ અનુભવી રહ્યા છે.
રસ્તાના વળાંક ઉપરના વૃક્ષો કાપવાની કામગીરી દરમિયાન બન્ને તરફનો રસ્તો બંધ કરાતા ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાવા પામી હતી. જેને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા ખુલ્લો કરવાની ભારે મથામણ કરવા પડી હતી. હજુ પણ વૃક્ષો કાપવાની કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિકનું ભારણ ક્યારે હટશે..? એવો સવાલ આવતા-જતા વાહનચાલકો કરી રહ્યા છે.