- પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી વિવેક દાઢકરના અધ્યક્ષસ્થાને આયોજીત બેઠકમાં પ્રદેશ મહામંત્રી મનિષ દેસાઈ, પ્રદેશ ઉપ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણ, દાનહ જિ.પં. પ્રમુખ નિશાબેન ભવર, સેલવાસ ન.પા. પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, મહેશભાઈ ગાવિત, સેલવાસશહેર ભાજપ પ્રમુખ અજયભાઈ દેસાઈ સહિત જિ.પં.સભ્યો, કાઉન્સિલરો, સરપંચો, મહિલા મોર્ચાના સભ્યો અને પક્ષના હોદ્દેદારોએ આપેલી હાજરી
- દાનહના ભાજપ બૂથ સમિતિના કાર્યકરોને જોડી ગામ, ફળિયા અને પાડામાંથી વધુમાં વધુ લોકોને સભા સ્થળ સુધી લાવવા મંડી પડવા હોદ્દેદારો અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને કરાયેલો અનુરોધ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રસ્તાવિત દાનહ અને દમણની મુલાકાતના સંદર્ભમાં ચર્ચા-વિચારણાં કરવા અને પ્રધાનમંત્રીશ્રીના ભવ્ય સ્વાગતની તૈયારીની રૂપરેખા નક્કી કરવા આજે સેલવાસના ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે પ્રદેશ મહામંત્રી શ્રી વિવેક દાઢકરની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં પ્રદેશ મહામંત્રી શ્રી મનિષ દેસાઈ, પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ, દાનહ જિ.પં. પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, સેલવાસ ન.પા. પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, શ્રી મહેશભાઈ ગાવિત, સેલવાસ શહેર ભાજપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ તથા જિ.પં. સભ્યો, કાઉન્સિલરો, સરપંચો અને ભાજપના વરિષ્ઠ હોદ્દેદારો સહિત મહિલા મોર્ચાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સેલવાસ આગમનને વધાવવાના સંદર્ભમાં વિસ્તારથી ચર્ચા-વિચારણાં કરવામાં આવીહતી.
આ બેઠકમાં ભાજપ બૂથ સમિતિના કાર્યકરોને જોડી વધુમાં વધુ જનમેદની સભા સ્થળ સુધી લાવવા અને પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતના એકાદ-બે દિવસ પહેલાં એટલે કે, 23મી એપ્રિલ અથવા 24મી એપ્રિલના રોજ ટ્વીટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર વેલકમ મોદીજી ટ્રેન્ડ કરવા એક અભિયાન ચલાવવા પણ નક્કી કરાયું હતું.
અત્રે યાદ રહે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રદેશમાં જે જે વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કર્યા હતા તે તમામનું ઉદ્ઘાટન કરવા તેઓ પોતે આવવાના હોવાથી દાદરા નગર હવેલીમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે જેથી પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત દરમિયાન સભા મંડપમાં ઐતિહાસિક જનમેદની ઉમટવાની પણ શક્યતા જોવાઈ રહી છે.