પ્રથમ બેચમાં 30 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોને આવરી લેવાયાઃ કુલ 312 સી.એચ.ઓ.ને તાલીમ અપાશે
વલસાડ જિલ્લા તાલીમ કેન્દ્રમાં સમાજમાં પ્રવર્તતી અંધશ્રધ્ધા અને કુરિવાજોને દૂર કરવા પણ સમજ અપાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: વલસાડ, તા.0૩: સામાજિક વ્યવહાર પરિવર્તન દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ વિશાળ જન સમુદાય સુધી પહોંચે એવા શુભ આશય સાથે તા. ૩ મે ૨૦૨૩ના રોજ બુધવારે વલસાડ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો (સી.એચ.ઓ.)ને વ્યવહાર પરિવર્તનની તાલીમ આપવામાં આવી હતી.
વલસાડ જિલ્લા આરોગ્ય ખાતાના સિનિયર મેડિકલ ઓફિસર ડો. એસ.એસ.હક, જિલ્લા માહિતી શિક્ષણ અને પ્રસારણ અધિકારી (DIECO) પંકજભાઈ પટેલ અને ડિસ્ટ્રીક્ટ સોશિયલ બિહેવીયર્સ ચેન્જ કોમ્યુનિકેટર (DSBCC) રાકેશભાઈ પટેલે આયુષ્યમાન ભારત અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોના વિવિધ આરોગ્ય વિષયક વિષયોમાં અવરોધક પરિબળો શોધી સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે બાબતે સમાજમાં પ્રવર્તતી અંધશ્રધ્ધાઓ અને કુરિવાજો વગેરે વિશે વિસ્તૃત ચર્ચા કરી સમજણ આપવામાં આવી હતી.
વલસાડ જિલ્લામાં કુલ ૩૧૨ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો હેલ્થ એન્ડ વેલનેસ ખાતે ફરજ બજાવી રહ્યા છે. જેઓ ગ્રામજનો સાથે સીધા સંપર્કમાં હોવાથી ગ્રામજનોમાં ફેલાયેલી અંધશ્રધ્ધા અને કુરિવાજો સરળતાથી દૂર કરી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવામાં મહત્વનું યોગદાન આપી શકે તેમ હોવાથી તમામ સી.એચ.ઓ.ને તાલીમ આપવામાં આવશે. વલસાડ જિલ્લામાં શરૂ થયેલા આ તાલીમ કાર્યક્રમમાં બુધવારે પ્રથમ બેચમાં ૩૦ સીએચઓને તાલીમ આપવામાં આવી હતી.