છેલ્લા કેટલાક વર્ષોમાં સંઘપ્રદેશના શિક્ષણથી લઈ સામાજિક, આર્થિક ક્ષેત્રે થયેલા સંગીન વિકાસમાં વિસરાઈ ગયેલી આદિવાસી સાંસ્કૃતિક સભ્યતા અને પરંપરાને જીવંત રાખવાનો બિન રાજકીય પ્રયાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાનહ આદિવાસી કલા ઉત્સવ સમિતિદ્વારા ખાનવેલ ચૌડા ગ્રાઉન્ડ ખાતે આગામી તા.21મી મેના રોજ ‘તારપા મહોત્સવ-2023’નું આયોજન કરવામાં આવી રહ્યું હોવાની માહિતી આપવાના હેતુથી આજે આયોજક સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી જયેશભાઈ પાગી, શ્રી બ્રિજેશભાઈ ભુસારા, શ્રી હિરેનભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી જયેશભાઈ દાધવ, શ્રી સુરેશભાઈ પવાર, શ્રી અજયભાઈ ગાવિત, શ્રી શંકરભાઈ ધાંગડા, શ્રી દેવુભાઈ ભોયા, શ્રી દેવજીભાઈ ભોયા, શ્રી દિપકભાઈ ખૂલાત, શ્રી કલ્પેશભાઈ ચૌધરી, શ્રી દિલિપભાઈ દળવી, શ્રી મહેશભાઈ પટેલ, શ્રી નિતિન ભાઈ રાઉત, શ્રી શૈલેષભાઈ વરઠા, શ્રી રિતેશ પટેલ અને શ્રી રંજીતભાઈ ગરૂડા સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે યાદ રહે કે, આદિવાસી બાહુલ્ય પ્રદેશ દાદરા નગર હવેલીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચોતરફી વિકાસ થયો છે. જેમાં શિક્ષણથી લઈ સામાજીક, આર્થિક પ્રગતિના સોપાનો સર કર્યા છે. પરંતુ કેટલાક વર્ષોથી આદિવાસી મૂળ સંસ્કૃતિને પ્રદેશના લોકો ભૂલી રહ્યા છે. તેને સંરક્ષિત કરવા અને તેની નવી પેઢીને પ્રદેશની પ્રાસંગિક અને આદિવાસી કલા પરંપરા, રીતરિવાજની ભેટ આપવા માટે ‘આદિવાસી સાંસ્કૃતિક કલા ઉત્સવ સમિતિ-દાનહ’ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરવાની યોજના બનાવી છે. જેનું નામ શિર્ષક છે ‘તારપામહોત્સવ-2023′ છે. આ કાર્યક્રમનું આયોજન આદિવાસી સાંસ્કૃતિક કલા ઉત્સવ સમિતિ ઉપરાંત આદિવાસી યુવા સમિતિ, ટ્રિબ્યૂટ ટ્રાયબલ ગ્રુપ, સંકલ્પ ફાઉન્ડેશન અને અન્ય સંગઠનના યુવાઓ મળી કરશે.
આદિવાસીઓનું ખાસ વાંજિત્ર એવા ‘તારપા મહોત્સવ’નું આયોજન આગામી 21મી મે, 2023ના રોજ ખાનવેલના ચૌડા મેદાન ખાતે લોક ભાગીદારીથી કરવામાં આવશે.
આદિવાસી કલા ઉત્સવ સમિતિના પ્રતિનિધિ શ્રી હિરેન પટેલના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આપણી પ્રાદેશિક અને આદિવાસી સંસ્કૃતિ કલાને સંરક્ષિત કરવા અને આદિવાસી કલાકારોને ઉભરવા માટે એક મોટું મંચ મળી રહે તથા અત્યારના આધુનિક સમયમાં યુવા વર્ગમાં જે આદિવાસી સંસ્કૃતિ ભુલાઈ રહી છે એને ફરી લોકોમાં જાગૃતિ લાવવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અત્રે ખાસ યાદ રહે કે, અગાઉ તારપા મહોત્સવ તા.07/05/2023નાં રોજ આયોજીત થનાર હતો, કેટલાક અન્ય વ્યસ્ત કાર્યક્રમોના કારણે આયોજક સમિતિએ સામૂહિક નિર્ણય લઈ મહોત્સવ માટે નવી તારીખ 21-05-2023, રવિવારના દિને યોજાનાર હોવાની માહિતી પત્રકાર પરિષદ યોજીને આપી છે.