એ.સી.બી.ના છટકામાં ઈન્ચાર્જ આચાર્ય દિલીપભાઈ આર. પટેલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: કપરાડામાં કાર્યરત અરૂણોદય સાર્વજનિક વિદ્યાલયના ઈન્ચાર્જ આચાર્ય શિક્ષણ સહાયક તરીકે પાંચ વર્ષ પૂર્ણ થતા કાયમી શિક્ષક તરીકેની નિમણૂંક અને ફુલ પગાર મુકવાની અરજી અંગે આગળની કાર્યવાહી પેટે શાળાના વિકાસના ઓથા નીચે 50 હજારની લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં રંગે હાથ ઝડપાઈ જતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કપરાડા અરૂણોદય સાર્વજનિક વિદ્યાલયમાં શિક્ષણ સહાયક તરીકે પાંચ વર્ષપુરા કરતા શિક્ષકે કાયમી શિક્ષક તરીકે નિમણૂંક અને ફુલ પગાર પર મુકવાની અરજી કરી હતી. કાર્યવાહી આગળ ધપાવવાના અવેજ પેટે શાળા વિકાસના ઓથા હેઠળ ઈન્ચાર્જ આચાર્ય દિલીપભાઈ આર. પટેલએ ફરિયાદી પાસે 50 હજારની લાંચ માંગી હતી. ફરીયાદી આપવા ઈચ્છતા નહોતા તેથી એ.સી.બી. વલસાડ-ડાંગમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ એ.સી.બી.એ શાળામાં જ છટકું ગોઠવ્યું હતું. જેમાં રૂા.50 હજારની લાંચ લેતા આચાર્ય દિલીપભાઈ આર. પટેલ રંગે હાથ છટકામાં ઝડપાઈ ગયા હતા. એ.સી.બી. ટીમે લાંચની રૂા.50 હજારની રકમ રિકવર કરી આચાર્યની અટક કરી હતી. ટ્રેપિંગ અધિકારી તરીકે પી.આઈ. એસ.એચ. ચૌધરી તથા એ.સી.બી. પો.સ્ટે. વ્યારા સ્ટાફે પ્રસંશનીય ફરજ બજાવી હતી.