-
દાનહ જિ.પં.ના સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્મા, યુવા ધારાશાસ્ત્રી સની ભીમરા સહિત અનેક તજજ્ઞોએ આપેલું માર્ગદર્શન
-
ખેરડી ગ્રા.પં.ના સરપંચ યશવંતભાઈ ઘુટિયાએ કરેલી આવકારદાયક પહેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાદરા નગર હવેલીની ખેરડી ગ્રામ પંચાયત દ્વારા ધોરણ 9 થી 12 તથા વધુ અભ્યાસ કરતા ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીના ઘડતરની જાણકારી આપવા માટે કેરિયર કાઉન્સિલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને ખુબ જ ઉપયોગી માહિતી પુરી પાડવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ખેરડી ગ્રામ પંચાયતે કરેલી પહેલના ઉપલક્ષમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને કેરિયર કાઉન્સિલિંગની જાણકારી આપવા માટે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી (સી.ઈ.ઓ.) ડો. અપૂર્વ શર્મા ખાસઉપસ્થિત રહ્યા હતા.
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજના પ્રોફેસર ડો. જીતેશ માહલા, ખાનવેલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના ઈન્ચાર્જ ડો. અનિલ માહલા, કરાડ પોલીટેક્નીક કોલેજના પ્રો. શ્રી શિંદે, પ્રદેશના યુવા ધારાશાસ્ત્રી શ્રી સની ભીમરા, ક્રેડ્સ કંપનીના મેનેજર શ્રી મોહન ત્રિવેદી, ટેકફેબ કંપનીના મેનેજર શ્રી રાહુલ અને આઈડીબીઆઈ બેંકના મેનેજર શ્રી અભિષેક તથા ખેરડી પંચાયત વિસ્તારની શાળાઓના આચાર્યો તથા શિક્ષકોએ ભાગ લઈ વિદ્યાર્થીઓને જરૂરી માહિતી આપી હતી.
આ પ્રસંગે ખેરડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી યશવંતભાઈ ઘુટિયાએ કરેલી પહેલથી આ વિસ્તારના બહુમતિ આદિવાસી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પોતાના શૈક્ષણિક ભવિષ્યના ઘડતર માટેના અનેક વિકલ્પોની પણ જાણકારી મળી હતી. તમામ માર્ગદર્શકોએ ખુબ જ રસાળ શૈલીમાં આપેલા ઉમદા માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને કઈ લાઈનમાં અભ્યાસ કરવો તેની સમજ પણ પડી હતી.