કુલ ૧૯૧૨૦ વિદ્યાર્થીઓનો વાજતે ગાજતે શાળામાં પ્રવેશ કરાવાશે
જિલ્લાની ૯૫૭ પ્રાથમિક શાળા માટે ૯૩ કલસ્ટર અને ૯૩ રૂટ નક્કી કરવામાં આવ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩નો આજથી સમગ્ર રાજ્યમાં પ્રારંભ થનાર છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ આજે તા. ૧૨ જૂનથી તા. ૧૩ જૂન સુધી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થશે. જેમાં રાજ્ય કક્ષાના પદાધિકારી અને અધિકારીઓને એક તાલુકો ફાળવી એ જ તાલુકાના ત્રણ કલસ્ટરની પ્રત્યેક દિવસે ત્રણ-ત્રણ શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ ઉજવણીમાં વાલીઓ અને ગ્રામજનોને પણ ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ અપાયુ છે.
વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ ઉમરગામ તાલુકાના ધોડીપાડા કલસ્ટરના ખંડવાઈ, મમકવાડા અને સરઈ ગામની પ્રાથમિક શાળામાં યોજનારા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેશે. વલસાડ જિલ્લામાં ૬ તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૪૨૮, બાલવાટીકામાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીની સંખ્યા ૧૩૯૪૫, ધો.૧ માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૫૧૫ અને ૬ થી ૧૪ વર્ષ પુનઃ પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૩૨ છે. આમ કુલ ૧૯૧૨૦ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ ઉજવાશે. કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત સંભવિત રૂટનું તાલુકાવાર આયોજન કરાયુ છે. જે મુજબ વલસાડ જિલ્લાના ૬ તાલુકામાં ૯૫૭ પ્રાથમિક શાળાઓ છે. જે માટે ૯૩ કલસ્ટરની સંખ્યા નક્કી કરવામાં આવી છે. જે મુજબ ૯૩ સંભવિત રૂટ પર કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયુ છે.