મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે સંઘપ્રદેશ પ્રશાસનની મહત્ત્વાકાંક્ષી યોજનાઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશીથી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 2017-‘18ના વર્ષથી કાર્યાન્વિત કરાયેલ ગીર ગાય યોજના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવેલ મહત્ત્વાકાંક્ષી ‘‘ગીર આદર્શ આજીવિકા યોજના(ગાય)” અંતર્ગત 2024-‘25ના વર્ષમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., લઘુમતિ અને દિવ્યાંગ શ્રેણીની મહિલાઓને તેમના આર્થિક સશક્તિકરણ માટે 2000 ગીર ગાયોનો લાભ આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સીધી કૃપાદૃષ્ટિથી સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દાદરા નગર હવેલી અને દમણ-દીવના આદિવાસી, દલિત, ઓ.બી.સી., લઘુમતિ તથા દિવ્યાંગ મહિલાઓ દૂધ ઉત્પાદન દ્વારા સ્વનિર્ભર બની શકે એ માટે ગીર ગાય યોજનાનો આરંભ 2017-‘18ના વર્ષથી કરવામાં આવી રહ્યો છે. જેમાં લાભાર્થી માટેની પાત્રતામાં તેણીસંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની રહેવાસી હોવી જોઈએ, મહિલા લાભાર્થી 18 થી 55 વર્ષ વયજૂથની હોવી જોઈએ અને તે ગ્રામીણ ડેરી સહકારી સ્વયં સહાયતા જૂથની સભ્ય પણ હોવી જોઈએ. બિન સભાસદ ઉપરોક્ત સમુદાયની મહિલાઓને પણ લાભ મળી શકે છે.
ગીર ગાય યોજનાની મુખ્ય વિશેષતાઓમાં એસ.સી., એસ.ટી. કોર્પોરેશન દ્વારા લોન અને સંઘપ્રદેશના પશુપાલન વિભાગ દ્વારા સબસીડીનો લાભ આપવામાં આવે છે. આઈડીડીપી યોજના અંતર્ગત બે ગીર ગાય માટે લોન આપવામાં આવે છે. શરૂઆતમાં પહેલી ગીર ગાય તથા અન્ય ઘટકો જેવા કે શેડ, પશુ વીમો, દાણ અને મિનરલ પાવડરનો પણ લોનમાં સમાવેશ થાય છે. છ મહિનાના સમયગાળા બાદ એસ.સી., એસ.ટી. કોર્પોરેશન દ્વારા લાભાર્થીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી બીજી ગીર ગાય તથા અન્ય ઘટકો માટે લોન આપવામાં આવે છે.
પશુપાલન વિભાગની ‘‘ગીર આદર્શ આજીવિકા યોજના” અંતર્ગત નાના પાયે ડેરી વિકાસ યોજના (જીએએવાય-એસ.એસ.ડી.યુ.) હેઠળ 10 ગીર ગાય માટે લોન આપવામાં આવે છે. શરૂઆતમાં પહેલી પાંચ ગીર ગાયો તથા અન્ય વસ્તુ જેવી કે શેડ, દૂધ કાઢવાનું મશીન, ચારા કટર, પશુ વીમો, દાણ તથા મિનરલ પાવડરનો પણ લોનમાં સમાવેશ થાય છે. 6 મહિનાના સમયગાળા બાદ લાભાર્થીની કામગીરીનું મૂલ્યાંકનકરી બીજી પાંચ ગીર ગાયો તથા અન્ય સાધન-સામગ્રી માટે લોન આપવાની જોગવાઈ છે.
સંઘપ્રદેશમાં ગીર ગાય યોજનાને સરળ અને સુલભ બનાવવા માટે લાભાર્થીઓને પશુપાલન વિભાગ તરફથી ગીર ગાયની ખરીદી પર 25 ટકા અને અન્ય વસ્તુ માટે 50 ટકા સબસીડી અને એસ.સી., એસ.ટી. કોર્પોરેશન તરફથી વ્યાજમુક્ત લોન જીએએવાય-આઈડીડીપી યોજના અંતર્ગત આપવામાં આવી રહી છે. જે ગીર ગાયની ખરીદી માટે સહાયરૂપ બને છે અને સબસીડીની રકમ સંબંધિત લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. પશુપાલન વિભાગ દ્વારા તેની હોસ્પિટલો/કેન્દ્રોમાં તમામ આરોગ્ય સંભાળ સુવિધાઓ પણ લાભાર્થીના પશુને આપવામાં આવે છે.
સંઘપ્રદેશ પ્રશાસનનો ગીર ગાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની આદિવાસી, દલિત, અન્ય પછાત વર્ગ, લઘુમતિ તથા દિવ્યાંગ મહિલાઓના આર્થિક સશક્તિકરણને વેગ આપવા નાના ડેરી ફાર્મ સ્થાપવા પ્રોત્સાહિત કરી તેમને તાજા ઓર્ગેનિક ફાર્મ મિલ્ક અને દૂધની વિવિધ બનાવટો માટે પ્રેરિત કરી ઘરઆંગણે એક ગીર ગાયના દૂધ અને તેના ઉત્પાદનનું વિશાળ માર્કેટ ઉભું કરવાનો છે. જેના કારણે મહિલાઓના આર્થિક સશક્તિકરણમાં નોંધપાત્ર ઉમેરો કરવાનો છે. 2017-‘18થી સંઘપ્રદેશમાં કાર્યાન્વિત આ યોજનામાં અત્યાર સુધી450 મહિલા લાભાર્થીઓને 800 ગીર ગાયનો લાભ આપવામાં આવ્યો છે અને 2024-‘25ના વર્ષમાં 2000 ગીર ગાયો મહિલા લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા રાખવામાં આવ્યો છે.