આજે સેલવાસ ખાતે ભારત સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ વિદ્યાર્થીઓને સાયકલ અને લેપટોપનું વિતરણ કરશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : આવતી કાલે સેલવાસ કલેક્ટરાલયની સામે આવેલ કોર ગ્રાઉન્ડ ખાતે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ‘વિકસિત ભારત’ મોદીની ગેરંટી અંતર્ગત વિદ્યાર્થીઓને સાયકલ અને લેપટોપ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત સરકારના શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે.
અત્રે યાદ રહે કે, મોદી સરકારના આગમન બાદ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આંગણવાડીથી લઈ યુનિવર્સિટી સુધીના શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક કામો થયા છે. સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશમાં શિક્ષણને લોકાભિમુખ બનાવી માનવ અને સમાજ ઘડતરમાં નવા પ્રાણ પૂર્યા છે. જેના પરિણામ સ્વરૂપ સમાજના વિવિધ તબકાના વિચારોમાં પરિવર્તન આવ્યું છે અને પ્રદેશમાં મેડિકલ, એન્જિનિયરીંગ, ફેશન ડિઝાઈનિંગ, નેશનલ લો કોલેજ,ત્રિપ્પલ આઈ.ટી., નર્સિંગ, પેરામેડિકલ, હોટલ મેનેજમેન્ટ જેવા અનેક અભ્યાસક્રમો શરૂ થયા છે અને આંગણવાડીથી લઈ પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી સ્કૂલ તથા કોલેજ સ્તર સુધીની શિક્ષણ સંસ્થાઓનું પણ ભવ્ય નવનિર્માણ કરાયું છે. જેના કારણે આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણના હબ તરીકે પણ ઉભરી રહ્યું છે.
આવતી કાલે કેન્દ્રના શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની દમણ અને સેલવાસની મુલાકાત બાદ તેઓ પણ અન્ય રાજ્યોની સાથે ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશની તુલના કરશે તો સ્પષ્ટ દેખાશે કે દાદરા નગર હવેલી અને દમણ-દીવે શિક્ષણના ક્ષેત્રે આકાશને આંબતી દમદાર પ્રગતિ કરી છે.