(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.22: આજરોજ યુઆઈએ કચેરી ખાતે બપોરના ત્રણ કલાકે વીજ વિભાગની સમસ્યાના નિવારણ અર્થે ઓપનહાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વીજ વિભાગના અધિકારીઓ સમયસર ન આવતા રજૂઆત માટે એકત્રિત થયેલા ઉદ્યોગપતિઓ અકડાઈ ગયા હતા. એક કલાક કરતા વધુ વિલંબ થી પહોંચેલા વીજ વિભાગના અધિકારીઓ સમક્ષ નારાજગી સાથે માત્ર ઔપચારિકતા પૂરતી રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં વારંવાર ખોટકાતો વીજ પુરવઠો અને વિજ વિભાગે ફરિયાદ માટે ઉપલબ્ધ કરેલો કમ્પ્લેન્ટ ફોન નંબર ઉપર યોગ્ય પ્રતિસાદ મળતો ન હોવાની રજૂઆત કરી હતી. જેના પ્રત્યુતરમાં વીજ વિભાગના અધિકારીઓએ સમસ્યા હલ કરવાની ખાતરી આપી હતી. અને નજીકના ભવિષ્યમાં ફરી ઓપન હાઉસનું આયોજન કરવા માટે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખશ્રી જીગ્નેશભાઈ બારી, સેક્રેટરી શ્રી નીરજભાઈ અને ડીજીવીસીએલની યુઆઈએ તરફથી કામગીરી સંભાળતા શ્રી બીરજુભાઈ લઠ્ઠા અને શ્રી દીપકભાઈ ગુપ્તા વગેરેની હાજરી જોવા મળી હતી.