(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : ઝૂનોટીક સંક્રમણ અથવા જાનવરોથી કોઈ કારણસર થતી અને ફેલાતી બીમારીઓ અંગે એના બચાવ અને ઈલાજ સંદર્ભે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને એના પર ચર્ચાના ઉદ્દેશ્યથી દર વર્ષે 6 જુલાઈના રોજ દુનિયાભરમાં ‘ઝૂનોટીક દિવસ’ મનાવવામાં આવે છે. જેના સંદર્ભમાં કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના દિશા-નિર્દેશ મુજબ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્ય વિભાગે પ્રદેશના લોકોને ઝૂનોટિક સંક્રમણ પ્રત્યે જાગૃત કરવા માટે વિશ્વ ઝૂનોટીક દિવસની ઉજવણવી કરવામાં આવી હતી. આ વર્ષે ‘વિશ્વ ઝૂનોટીક’ દિવસની થીમ ‘એક વિશ્વ, એક આરોગ્ય’ ઝૂનોટીકને રોકી રાખવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય તમામ લોકોને ઝૂનોટિક રોગ અંગે જાગૃત કરવાનો અને બચાવ માટેના ઉપાયો કરવાનો છે.
આ વાતને જન જન સુધી પહોંચાડવા અને લોકોમાં ઝૂનોટીક રોગો અંગે અવગત કરવા માટે પ્રદેશમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશમાં દરેક ગામમાં આરોગ્યકર્મીઓ દ્વારા લોકોને ગ્રુપ મિટિંગ દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતા અને મેડિકલ તથાનર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓના માટે વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરોગ્યકર્મીઓ માટે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશના આરોગ્યકર્મીઓને ઝૂનોટિક બીમારીના સંક્રમણ, લક્ષણ, રોકથામ અને બચાવના ઉપાયો વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. નમો મેડિકલ કોલેજ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે નિબંધ અને ડ્રોઈંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઝૂનોટીક સંક્રમણ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.