(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની ગુજરાત સાથે જોડતી ડોકમરડી બોર્ડર પર દાનહ પી.ડબ્લ્યુ.ડી. દ્વારા દિવાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેને કોઈક ટીખળખોર અસામાજિક તત્વોએ આજે ધ્વંસ્ત કરી રસ્તા સહિત અન્ય બાંધકામ કરી અડિંગો જમાવી દીધો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસના 66 કેવીએ રોડથી ડોકમરડી તરફ ગુજરાતના કરમખલ પંચાયત હસ્તક આવતા દાદરા નગર હવેલી અને ગુજરાતની બોર્ડર પર દાનહ જિલ્લાના પી.ડબ્લ્યુ.ડી. દ્વારા દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ હાલમાં આ જગ્યા પર ગુજરાતના કેટલાક અસામાજીક તત્વો દ્વારા કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી ગેરકાનૂની રીતે કબ્જો કરી લીધો છે, અને બોર્ડરમાટે ઉભી કરવામાં આવેલ દિવાલને તોડી એ જગ્યા પર બાંધકામ પણ કરી દેવામાં આવ્યું છે. સાથે ત્યાંથી પસાર થવા માટે રસ્તો પણ બનાવી દીધો છે. પરંતુ આ સમગ્ર ઘટનાથી દાનહ જિલ્લા પ્રશાસન અજાણ હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. માટે દાનહ પ્રશાસન આવી ઘટનાઓને ગંભીરતાથી લે અને જવાબદાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરે એ સમયનો તકાજો છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતના કરમખલ પંચાયતમાં પણ ફક્ત ઘર નંબર પડાવી તેની અંદર ફેક્ટરીઓ તાણી દેવામાં આવી હોવાનું નજરે પડે છે. તેથી ગુજરાતની કરમખલ પંચાયત પણ તેમની સત્તા પ્રમાણે જવાબદાર અસામાજિક તત્વો સામે કડક કાનૂની પગલાં ભરે એ જરૂરી છે.