દમણવાડા ગ્રા.પં.ની લાઈબ્રેરીથી પ્રભાવિતઃ ગ્રામ્ય વિસ્તારમાં આટલી સમૃદ્ધ ઍક લાઈબ્રેરી હોય અને તેનું સંચાલન ગ્રામ પંચાયત દ્વારા થતું હોય ઍ કલ્પના માત્ર અને માત્ર પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશીથી જ સાકાર થઈ શકેઃ ડો. ભરતભાઈ કાનાબાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : આજે અમરેલી જિલ્લા ભાજપના આગેવાન ડો. ભરતભાઈ કાનાબારના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લાની મુલાકાત લીધી હતી. જે પૈકી આ પ્રતિનિધિ મંડળે દમણવાડા ગ્રામ પંચાયત, દમણવાડા લાઈબ્રેરી તથા દમણવાડા નંદઘરની પણ મુલાકાત લઈ જાણકારી મેળવી હતી.
અમરેલી જિલ્લા ભાજપના આગેવાન ડો. ભરતભાઈ કાનાબારના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળમાં સહકારી અગ્રણી પી.પી. સોજિત્રાના ઉદ્યોગપતિ અને અમરેલી એપીએમસીના ચેરમેન શ્રી શૈલેષભાઈ સંઘાણી, મહુવાના ઉદ્યોગપતિ શ્રી રાજભા ગોહિલ, પ્રસિદ્ધ આર્કિટેક્ટ શ્રી વનરાજભાઈ પટેલ, ઉદ્યોગપતિ શ્રી બિપિનભાઈ ગાંધી, એડવોકેટ શ્રી ચેતનભાઈ પંડયા, શિક્ષણ સાથે સંકળાયેલા શ્રી તુલસીભાઈ મકવાણા, ટીવી9 ભાઈ ભાઈ શોના એન્કર શ્રી મહેન્દ્રભાઈ બગડા, ન્યૂઝ18ના શ્રીરાજનભાઈ ગઢિયા, શ્રી નિલેશ ઘાઘલ, શ્રી કમલેશ ગરણીયા, શ્રી અનિલ ઠાકર, શ્રી મહેશભાઈ યાજ્ઞિક, ડો. ભીંગ્રણિયા, શ્રી તરંગ પવાર, શ્રી કે.પી.પટેલ વગેરેનો સમાવેશ થતો હતો. દમણવાડા ગ્રામ પંચાયત ખાતે સરપંચ શ્રી મુકેશ ગોસાવી અને તેમની ટીમે પ્રતિનિધિ મંડળનું અભિવાદન કર્યું હતું.
દમણમાં થયેલા વિકાસથી ખુબ જ પ્રભાવિત થયા હતા. દમણવાડા ગ્રામ પંચાયત, લાઈબ્રેરી અને નંદઘર નિહાળી તેઓ દંગ રહી ગયા હતા. ડો. ભરતભાઈ કાનાબારે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં આટલી સમૃદ્ધ એક લાઈબ્રેરી હોય અને તેનું સંચાલન ગ્રામ પંચાયત દ્વારા થતું હોય એ કલ્પના માત્ર અને માત્ર પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દૂરંદેશીથી જ સાકાર થઈ શકે.
પ્રતિનિધિ મંડળે આંતરરાષ્ટ્રીય સ્તરની દમણની થયેલી કાયાપલટ બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને યશના અધિકારી ગણાવ્યા હતા.