ઉમરગામના અચ્છારી ખાતે વયોવૃદ્ધ 73 વર્ષની મહિલાની જમીન હડપી લેવા સુરતના ગુંડાઓને અપાયેલી સોપારી
ઉમરગામ તાલુકાના મોટી વગ ધરાવતા રાજકીય નેતાના ઈશારે કમ્પાઉન્ડનું તાળુ તોડી અંદર પ્રવેશી કબ્જો લેવા કરેલી કોશિષઃ પોલીસની ગાડી દેખાતાં આરોપીઓ ફરાર થયા
હેમંત ડાહ્યા ચૌહાણ, ડાહ્યા જીવણ ચૌહાણ, કાંતિ સુરજી, બલ્લુ પઠાણ, રફિક પઠાણ સહિત અન્ય 6 સામે નોંધાયેલો ગુનો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વાપી, તા.20: ઉમરગામ તાલુકાના અચ્છારી ગામ ખાતે આવેલ 73 વર્ષની વયોવૃદ્ધ મહિલાની જમીન હડપી લેવા માટે ઉમરગામના એક મોટા આદિવાસી નેતાના નેતૃત્વમાં સુરતના ગુંડાઓને સોપારી આપી હોવાની વાતનો ઘટસ્ફોટ થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે અને ગુંડાઓ સામે ભિલાડ પોલીસે એફ.આઈ.આર. નોંધી કાર્યવાહી કરી પોતાની ગતિશીલતાનો પણ પરિચય આપ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઉમરગામ તાલુકાના અચ્છારી ગામના મૂળ રહેવાસી શ્રીમતી લીનાબેન શાંતિલાલ શાહ પોતાના બાપ-દાદાના સમયથી ચાલતી આવેલ જમીનના માલિક તરીકે છે. મૂળ અચ્છારી હાલ બેંગલોરમાં રહે છે. તેઓ વૃદ્ધ હોવાથી પોતાની જમીનના કામકાજ માટે પાવર ઓફ એટર્ની એમના માનિતા ભાઈ શ્રી મહેન્દ્રસિંહ રાઠોડને આપી હતી. જમીનસંચાલન માટે મહેન્દ્રસિંહ રાઠોડના સાઢુભાઈ શ્રી સંજયસિંહને આપી હતી. તા.18.07.2023ના રોજ સંજયસિંહ જમીન પર જતા હતા ત્યારે કમ્પાઉન્ડની બહાર એક કાળા કલરની મહિન્દ્ર સ્કોર્પિયો ગાડી નં. જીજે-15 સીકે-0202 પડી હતી અને ગેટનું તાળુ તોડી ગેરકાયદે પ્રવેશ કરેલ હતો.
ગેટ ઉપર અજાણ્યા માણસોને જોઈ પૂછતાં તમે કોણ છો? અહીં શું કરો છો? માથાભારે તત્ત્વોએ ફરિયાદીને તું અહીંથી નિકળી જા, નહીં તો તારા હાથપગ તોડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે, નામદાર કોર્ટે અત્રેની લીનાબેનની મિલકત ઉપર યથાવત સ્થિતિ જાળવી રાખવાનો હુકમ કરેલ હોય જેથી આ તાલુ તોડી તમે ગેરકાયદેસર કેવી રીતે પ્રવેશ કરી શકો? ત્યારે બલ્લુભાઈ પઠાણે ગમે તેમ ગાળો બોલી ધમકીઓ આપતા જણાવ્યું હતું કે, અમને હેમંત ડાહ્યાભાઈ ચૌહાણ તથા ડાહ્યાભાઈ જીવણભાઈ ચૌહાણે ગેટનું તાળુ તોડવા અને અંદર પ્રવેશી કબ્જો લેવા બોલાવેલ છે. આ આપણી જમીન છે એમાં હવે કોઈને આવવા નહીં દેવા તેવો તેમણે નિર્દેશ આપ્યો હતો. તેવામાં ફરિયાદીએ પોલીસને કરેલી જાણ અનુસાર પોલીસની ગાડી આવતાં દેખાતા હાજર રહેલા તમામ આરોપીઓ સ્કોર્પિયો ગાડીમાં બેસીને ફરાર થઈ ગયા હતા.
આ ઘટનામાં ફરિયાદી શ્રી મહેન્દ્રસિંહ રાઠોડે નોંધાવેલીફરિયાદ અંતર્ગત (1)કાંતિભાઈ સુરજી ધોડી રહે. બોરીગામ, લાખાજી ફળિયા તા.ઉમરગામ, જિ.વલસાડ (2)હેમંત ડાહ્યાભાઈ ચૌહાણ રહે. નરોલી રોડ અથાલ ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની સામે સેલવાસ (3)ડાહ્યાભાઈ જીવણભાઈ ચૌહાણ, રહે. નરોલી રોડ અથાલ ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની સામે સેલવાસ (4)બલ્લુભાઈ પઠાણ રહે. સુરત (5)રફિક સમીરભાઈ પઠાણ રહે. સુરત તથા 6 જેટલા અજાણ્યા ઈસમો સામે આઈ.પી.સી.ની 143, 149, 341, 384, 385, 427, 447, 504, 506(2), 114 અને જી.પી.એ. એક્ટની 135(1) કલમ અંતર્ગત ગુનો નોંધી ભિલાડ પોલીસે વધુ તપાસ આરંભી છે.
તથાકથિત રાજકીય નેતાના ઈશારે
ઉમરગામ સહિત વલસાડ જિલ્લામાં પડતર રહેલી જમીનમાં સ્થાનિક તલાટી અને મામલતદાર સાથેની મીલિભગતમાં આદિવાસી ખેડૂતનું નામ ગણોતિયા તરીકે દાખલ કરાવી જમીન માલિકને બ્લેકમેલ કરવાનો ફૂલેલો-ફાલેલો ધંધો
‘નો ટોલરન્સ’ની નીતિ ધરાવતી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જમીનો હડપ કરવા પેદા થયેલી ગુંડાગિર્દી સામે કઠોર કાર્યવાહી કરવી જરૂરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વાપી, તા.20: ઉમરગામ સહિત વલસાડ જિલ્લામાં કેટલાક રાજકીય નેતાઓ દ્વારા લાંબા સમયથી પડતર રહેલી જમીનમાં સ્થાનિક તલાટી અને મામલતદાર સાથેનીમીલિભગતમાં આદિવાસી ખેડૂતનું નામ ગણોતિયા તરીકે દાખલ કરાવી જમીન માલિકને બ્લેકમેલ કરવાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. જેમાં ઉમરગામના એક મોટી વગ ધરાવતા આદિવાસી નેતાની ભૂમિકા સામે આંગળી ચિંધાઈ રહી છે.
જમીન હડપ કરવાના શરૂ થયેલા કારસામાં લેન્ડમાફિયાઓ પણ આ તથાકથિત રાજકીય નેતાને ખુબ મોટી રકમ આપી એંગેજ કરતા હોવાનું બહાર આવી રહ્યું છે. સુરતથી ગુંડાઓને જમીન ઉપર કબ્જો મેળવવા માટે અપાતી સોપારી આવતા દિવસોમાં કોઈ નિર્દોષની જાન સામે પણ સંકટ પેદા થવાની સંભાવના છે.
ગુંડાગિર્દીમાં ‘નો ટોલરન્સ’ની નીતિ અપનાવતી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી આ બાબતે કઠોર કાર્યવાહી કરે અને આ પ્રકારની રીતિ-નીતિ સામે અંકુશ લાવે એવી માંગ પ્રબળ બની છે.