વારંવારની સૂચના બાદ પણ સર્વિસ રોડ પર જાહેરમાં કચરો ફેંકવાનું ચાલું રાખનારાઓ સામે કાર્યવાહી કરવા માટે સ્થાનિક આગેવાનોએ સીસીટીવી કેમેરા ગોઠવવાની હાથ ધરેલી તજવીજ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.24: નેશનલ હાઈવે સ્થિત સમરોલી-મજીગામની હદમાં કાલાખાડીના પુલ પાસે સર્વિસ રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી આડેધડ કચરો ફેંકવામાં આવી રહ્યો છે. આ સ્થળ નજીક સમરોલીનો મોટો રહેણાંક વિસ્તાર આવેલ છે અને સમરોલી ગ્રામ પંચાયતનું ટ્રેકટર કચરો લેવા માટે નિયત કરાયેલા દિવસ-સમયે નિયમિત પણે આવતું જ હોય છે. તેમ છતાં કાલાખાડીના પુલ પાસે સર્વિસ રોડ ઉપર કચરાના ઢગ ઠલવાય રહ્યા છે. સ્થાનિકો ઉપરાંત અન્ય આસપાસના વિસ્તારના, બહારના લોકો પણ ખાસ કરીને રાત્રીના સમયે અંધારાનો લાભ લઈ કચરો ફેંકી જતા હોય છે.
સર્વિસ રોડ ઉપર જ્યાં કચરો ફેંકવામાં આવેછે. ત્યાં નજીકમાં ભીખાભુત બાપજીનું મંદિર પણ આવેલ છે. પરંતુ કચરો ફેંકનારાઓને મંદિરની પણ મર્યાદા નડતી નથી. વારંવારની ગ્રામ પંચાયતની સૂચના બાદ પણ કચરો ફેંકવાનું ચાલુ જ રખાતા કચરાનો ઢગ ખડકાઈ જવા સાથે અસહ્ય ગંદકી ફેલાતા માનવબળથી કચરો હટાવવાનું શકય ન જણાતા ગ્રામ પંચાયત અને આર્યા ગ્રુપના કલ્પેશભાઇ સહિતના આગેવાનોએ જેસીબીની મદદથી કચરો વાહનમાં ભરી સફાઇ કરાવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વચ્છ ભારત’ અભિયાનની પણ કચરો ફેંકનારાઓ પર અસર થતી નથી. ત્યારે આવા તત્વો સામે કાયદાકીય પગલા ભરવા માટે સ્થાનિક આગેવનો દ્વારા સીસીટીવી કેમેરા ગોઠવવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે.