-
લોકોને થયેલ લાખો રૂપિયાના નુકસાન છતાં અસરગ્રસ્તોને રાહત પેટે મળેલું શૂન્યઃ આજે પણ લોકોની સ્મૃતિમાં રહેલા લિસોટા
-
દાનહના ખાનવેલ સહિતના વિસ્તારમાં આવેલા પૂરમાં પ્રશાસને બતાવેલી માનવતા અને સંવેદનશીલતા કાબિલેતારીફ છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : આવતી કાલ તા.3 ઓગસ્ટના રોજ દમણમાં આવેલ ભયાનક પૂરના 20 વર્ષ પૂર્ણ થશે. તા.3 ઓગસ્ટ, 2004ના રોજ આવેલ પૂરના કારણે દમણના ખારાવાડ, ખારીવાડ, બિબ્લોસ, ઝાંપાબાર, વરકુંડ, કચીગામ, આંબાવાડી, વગેરે વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા હતા. ખુબ જ ભયાનક સ્થિતિ પેદા થઈ હતી. લોકોનું ગણતરીના કલાકોમાં જ લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. આજે આ વાતને 20 વર્ષ પૂર્ણ થયા છે. આ જળપ્રલયમાં વર્તમાન પ્રવાહનું વરકુંડ ખાતે આવેલ પ્રેસ પણ આખું ડૂબી ગયું હતું અને ખુબ મોટું આર્થિક નુકસાન પણ થયુંહતું.
2004માં કાર્યરત કોંગ્રેસ સરકાર અને પ્રશાસને અસરગ્રસ્તોને કોઈપણ પ્રકારના રાહત પેકેજ આપ્યા નહીં હતા. જેના લોકરોષનો ભોગ તત્કાલિન કોંગ્રેસી સાંસદ સ્વ. ડાહ્યાભાઈ પટેલ પણ બન્યા હતા.
આજે 20 વર્ષ બાદ દાદરા નગર હવેલીના ખાનવેલ સહિતના વિસ્તારમાં આવેલ પૂરમાં સરકારે ખુબ જ અસરકારકતા અને સંવેદનશીલતા બતાવી લોકોને આપેલી ત્વરિત રાહત ખુબ જ આવકારદાયક છે. જેઓ ઘરવિહોણાં બન્યા છે તેમના ઘરના નિર્માણ માટે પણ પ્રશાસન તત્પર હોવાની બતાવેલી ભાવનાથી લોકોમાં એક આશાનું કિરણ પણ ઉગ્યું છે.
દમણમાં 2004માં આવેલ જળપ્રલયમાં નાની અને મોટી દમણને જોડતો નવનિર્મિત પુલ માત્ર 42 દિવસમાં ધરાશાયી થયો હતો. આ બ્રિજનું નિર્માણ ઓઆઈડીસી દ્વારા લાખોના ખર્ચે કરાયું હતું. જવાબદાર કોન્ટ્રાક્ટર અને કેટલાક એન્જિનિયરોએ તપાસના ડરથી નોકરી છોડી ચાલતી પણ પકડી હતી.
આજે 20 વર્ષ બાદ પ્રદેશની દશા અને દિશા બદલાઈ છે. વિશ્વાસનું એક વાતાવરણ પેદા થયું છે. 2004માં સ્મૃતિની ભીંત ઉપર પડેલા લિસોટા હજુ ભંૂસાતા નથી. કારણ કે, નાના વેપારીઓને બેઠા થતાં વર્ષો લાગ્યા હતા. આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તેની તકેદારી રાખવી જરૂરી છે.