(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.0૫: વાપીના મહાવીર નગર ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાપીના અચલગચ્છ જૈન સંઘ અને સાવલા પરિવાર દ્વારા માતૃશ્રી હિરબાઈ મેઘજી સાવલાની સ્મૃતિમાં ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં રકતદાનની તાતી જરૂરીયાત વર્તાઈ રહી છે ત્યારે આ રક્તદાન શિબિરનું આયોજન અભિનંદનને પાત્ર છે. સાથે જ રક્તદાન કરનાર રક્તદાતાઓ પણ અભિનંદનને પાત્ર છે. રક્તદાનને મહાદાન તરીકે ગણવામાં આવે છે. મંત્રીશ્રીએ રકતદાતાઓની મુલાકાત પણ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, સાવલા પરિવાર દ્વારા છેલ્લા ૨ વર્ષથી રકતદાન શિબિરનું આયોજન થાય છે. જેમાં પ્રથમ વર્ષે ૨૦૨૧માં ૨૨૨ બોટલ, બીજા વર્ષે ૨૦૨૨માં ૩૨૨ બોટલ રકતદાન એકત્ર થયું હતું. જ્યારે આજની રકતદાન શિબિરમાં ૪૧૧ બોટલ રક્ત એકત્ર થયું હતું. જે બદલ સાવલા પરિવારે તમામ રક્તદાતાઓનો આભાર માન્યો હતો.